પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જિલ્લા ન્યાયિક સંકુલની બહાર થયેલા વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ વિસ્ફોટને “ચેતવણી” ગણાવી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન અત્યારે યુદ્ધની સ્થિતિમાં છે. તેમણે શાંતિ સમજૂતી સુધી પહોંચવામાં નિષ્ફળ રહેવા બદલ અફઘાનિસ્તાન પર પણ પ્રહારો કર્યા હતા.
“ઈસ્લામાબાદ બ્લાસ્ટ એ કાબુલનો સંદેશ છે”
ખ્વાજા આસિફે કહ્યું, “જેને લાગે છે કે પાકિસ્તાની સેના અફઘાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને બલૂચિસ્તાનના દૂરના વિસ્તારોમાં આ યુદ્ધ ચલાવી રહી છે, તેણે ઈસ્લામાબાદ જિલ્લા કોર્ટ પરના આજના આત્મઘાતી હુમલાને ચેતવણી તરીકે લેવો જોઈએ. આ સમગ્ર પાકિસ્તાન માટે યુદ્ધ છે, જેમાં પાકિસ્તાની સેના બલિદાન આપી રહી છે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે.”
પાકિસ્તાની રક્ષા મંત્રીએ કહ્યું, “આવા વાતાવરણમાં અફઘાન સરકાર સાથે સફળ મંત્રણાની કોઈ મોટી આશા રાખવી નિરર્થક છે. કાબુલમાં સરકાર પાકિસ્તાનમાં આતંકવાદને રોકી શકે છે, પરંતુ આ યુદ્ધને ઈસ્લામાબાદમાં લાવવું એ કાબુલનો સંદેશ છે, અને પાકિસ્તાન જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”
ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલાની ધમકી
પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ આ વિસ્ફોટને આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. તેણે કહ્યું, “હુમલાખોર લગભગ 12 મિનિટ સુધી કોર્ટની બહાર ઊભો રહ્યો. તેણે પહેલા કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તે તેમ કરી શક્યો નહીં, ત્યારે તેણે પોલીસના વાહનને નિશાન બનાવ્યું. અમે ઘટનાની વિવિધ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. આ કોઈ સામાન્ય બોમ્બ બ્લાસ્ટ નથી.” પાકિસ્તાની ગૃહ મંત્રીએ કહ્યું, “આગામી દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે, અને તેમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. રેન્જર્સ અને પોલીસ એ સુનિશ્ચિત કરશે કે રાજધાનીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની સુરક્ષા સાથે ચેડા ન થાય.”







