વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવાર, 21 નવેમ્બર) 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ જવા રવાના થયા. આ સમિટ 21 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ સમિટની યજમાની દક્ષિણ આફ્રિકા કરી રહી છે અને ખાસ વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે G20 સમિટ આફ્રિકન મહાદ્વીપમાં યોજાઈ રહી છે. ગ્લોબલ સાઉથમાં આયોજિત થનારી સતત ચોથી જી20 સમિટ પણ છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર આ પ્રવાસ પર જઈ રહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સમિટ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. તેમણે યાદ અપાવ્યું કે ભારતના G20 પ્રેસિડેન્સી (2023) દરમિયાન આફ્રિકન યુનિયનને G20 નું કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું અને હવે આફ્રિકામાં યોજાઈ રહેલી આ સમિટ એ ઐતિહાસિક પગલાને વધુ મજબૂત બનાવે છે.

આ વર્ષની G20 સમિટની થીમ શું છે?

આ વર્ષની G20 સમિટની થીમ ‘સોલિડેરિટી, ઇક્વાલિટી અને સસ્ટેનેબિલિટી’ છે. આ થીમ ભારત અને બ્રાઝિલમાં યોજાયેલી છેલ્લી બે સમિટની સાતત્યતા ચાલુ રાખશે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ સમિટમાં ‘વસુધૈવ કુટુંબકમ’ – એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય -ની ફિલસૂફી પર આધારિત ભારતનું વિઝન રજૂ કરશે.

પીએમ મોદી ભારતીય મૂળના લોકોને મળશે

સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી 6ઠ્ઠી IBSA (ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા) સમિટમાં પણ ભાગ લેશે. ત્રણેય દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ, વૈશ્વિક પડકારો, આર્થિક ભાગીદારી અને વિકાસ એજન્ડા પર ચર્ચા થશે. દક્ષિણ આફ્રિકામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે અને પીએમ મોદીએ ત્યાંના ભારતીય સમુદાયને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ભારતીય ડાયસ્પોરા વિશ્વના સૌથી મોટા ભારતીય ડાયસ્પોરા જૂથોમાંનું એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here