સોમનાથ, 11 જાન્યુઆરી, 2026: પ્રાચીન અને ઐતિહાસિક સોમનાથ મંદિરનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં આવેલાં સનાતન આસ્થાનાં પ્રાચીન મંદિરો વિશે પણ સૌએ જાણવું જરૂરી છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાના અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને તેની આજુબાજુના વિસ્તારમાં અનેક સૂર્યમંદિરોના અવશેષો મળી રહે છે, જે અહીં સૂર્ય ઉપાસનાના વારસાને મજબૂત કરે છે.
‘પ્રભાસ’ શબ્દનો અર્થ જ પ્રકાશથી ભરપૂર એવો થાય છે. પુરાણોમાં પ્રભાસ ક્ષેત્રને ભાસ્કર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે કારણ કે અહીં સૂર્ય દેવ પોતાની પૂર્ણ તેજસ્વી કળાઓ સાથે પ્રકાશતા હતા. કથાઓ મુજબ સૂર્ય દેવએ પોતાની ૧૬માંથી ૧૨ કળાઓ પ્રભાસ ક્ષેત્રના બાર સૂર્યમંદિરોને અર્પણ કરી હતી, જે આ ક્ષેત્રના અનોખા તીર્થ મહિમાને વધુ ઉજાગર કરે છે.
ઈ.સ. ૧૩મી સદી આસપાસનું માનવામાં આવતું આ મંદિર આજે પણ પ્રાચીન લિપિના અક્ષરોની સાક્ષી આપે છે. પ્રભાસખંડમાં આ મંદિરે નાગરાદિત્ય નામ મેળવ્યું છે. માન્યતા છે કે દ્વારકાથી આવેલા સત્રાજિતે અહીં સૂર્ય ઉપાસના કરી અને સૂર્ય દેવના પ્રસાદ સ્વરૂપે મળેલો સ્યમંતક મણિ મેળવ્યા બાદ અહીં સૂર્યની સ્થાપના કરી હતી.
શારદા મઠની પાછળ આવેલું આ સૂર્યમંદિર તેની વિશિષ્ટ શિલ્પસૃષ્ટિ માટે પ્રસિદ્ધ છે. નરથર, ગજથર અને હંસથર વિનાના અનોખા માળખાવાળું આ મંદિર વલભી કાળનું માનવામાં આવે છે અને ૧૩–૧૪મી સદીમાં તેનો જીર્ણોધ્ધાર થયેલો હોવાનું કહેવાય છે. મંદિરની આસપાસ જ્ઞાનવાવ, સૂર્યકુંડ, માર્કંડ ઋષિ આશ્રમ, કામનાથ, સિદ્ધનાથ જેવા અનેક પવિત્ર સ્થળો આવેલાં છે.


