પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહ સેનેટે સોમવારે વિવાદાસ્પદ 27મા બંધારણીય સુધારાને મંજૂરી આપી હતી, જે સંરક્ષણ દળોના વડા તરીકે ઓળખાતી નવી પોસ્ટ બનાવે છે અને બંધારણીય અદાલતની સ્થાપના કરે છે. આ ખરડો મંગળવારે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલી (NA) માં રજૂ કરવામાં આવશે અને સરકારની નોંધપાત્ર બહુમતિને જોતાં તે સરળતાથી પસાર થવાની અપેક્ષા છે. જો આ બિલ પસાર થશે તો પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરની સત્તામાં નોંધપાત્ર વધારો થશે. આ ખરડો મુનીરને સરકાર અને ન્યાયતંત્ર કરતાં વધુ શક્તિશાળી બનાવશે અને તેને સાયલન્ટ બળવો ગણવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના કાયદા પ્રધાન આઝમ નઝીર તરાર દ્વારા સેનેટમાં વિવાદાસ્પદ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે સેનેટના અધ્યક્ષ યુસુફ રઝા ગિલાનીએ કાર્યવાહીની અધ્યક્ષતા કરી હતી. સરકાર અને તેના સાથીઓએ બે તૃતીયાંશ બહુમતી (64 મતો) સાથે બિલ પસાર કર્યું હતું, જેમાં બે વિપક્ષી સભ્યોએ તેને સમર્થન આપ્યું હતું.
બંધારણમાં સુધારો કરીને મુનીરે પોતાને ‘સર્વશક્તિમાન’ બનાવ્યા છે.
સુધારા બિલ હેઠળ, રાષ્ટ્રપતિ વડા પ્રધાનની સલાહ પર આર્મી ચીફ અને સંરક્ષણ દળોના વડાની નિમણૂક કરશે. એવી પણ દરખાસ્ત છે કે જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષનો કાર્યકાળ 27 નવેમ્બર, 2025ના રોજ સમાપ્ત થશે. એકવાર આ બિલ કાયદો બની ગયા બાદ મુનીર સંરક્ષણ દળોના વડા પણ બનશે. તેઓ વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે પરામર્શ કરીને નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના વડાની પણ નિમણૂક કરશે અને આ વડા પાકિસ્તાની સેનામાંથી હશે.
સરકાર પાસે સશસ્ત્ર દળોના અધિકારીઓને ફિલ્ડ માર્શલ, માર્શલ ઓફ ધ એર ફોર્સ અને એડમિરલ ઓફ ફ્લીટના પદો પર બઢતી આપવાની સત્તા હશે. ફિલ્ડ માર્શલની પોસ્ટ અને વિશેષાધિકારો આજીવન રહેશે, એટલે કે, ફિલ્ડ માર્શલ જીવનભર તે પદ સંભાળશે. આ સુધારા દ્વારા, મુનીરે આજીવન ફિલ્ડ માર્શલનો રેન્ક મેળવ્યો.
પાકિસ્તાનમાં નવી કોર્ટની સ્થાપના કરવામાં આવશે
આ બિલમાં બંધારણ સંબંધિત કેસોની સુનાવણી માટે ફેડરલ બંધારણીય અદાલતની સ્થાપના કરવાનો પણ પ્રસ્તાવ છે. વર્તમાન સુપ્રીમ કોર્ટ માત્ર પરંપરાગત સિવિલ અને ફોજદારી કેસોની સુનાવણી કરશે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં હવે બે મુખ્ય ન્યાયાધીશો હશે, એક બંધારણીય અદાલત માટે અને બીજો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ માટે.
ઈમરાન ખાનની પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો હતો
બિલ પસાર થાય તે પહેલાં, સેનેટે બિલના દરેક વિભાગ પર મતદાન કર્યું હતું. બાદમાં, ઔપચારિક પ્રક્રિયા મુજબ, પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા બંધ રાખીને મતોના વિભાજન દ્વારા મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાન શરૂ થતાંની સાથે જ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતૃત્વમાં વિપક્ષી સાંસદોએ સરકાર અને તેના સહયોગી પક્ષો વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જ્યારે બિલ રજૂ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તેઓએ બિલની નકલો ફાડી નાખી અને કાયદા પ્રધાન પર ફેંકી દીધી.
આ પછી વિપક્ષના મોટાભાગના સાંસદો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા, જ્યારે કેટલાકે થોડીવાર સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પછી ગૃહની બહાર નીકળી ગયા હતા. તેમના ગયા પછી બિલ સરળતાથી પસાર થઈ ગયું. આ પહેલા પાકિસ્તાનના વિપક્ષે સેનેટ અને નેશનલ એસેમ્બલીની સંયુક્ત સ્થાયી સમિતિની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તે બેઠકમાં 27મા બંધારણ સુધારા બિલને નાના સુધારા સાથે મંજૂરી આપવામાં આવી હતી. ઉપલા ગૃહમાં અહેવાલ રજૂ કરતા સમિતિના અધ્યક્ષ ફારુક નાઈકે કહ્યું કે સંયુક્ત સમિતિએ બિલ પર બે દિવસ સુધી ચર્ચા કરી અને ઘણા ફેરફારો કર્યા.
સેનેટની મંજૂરી બાદ, બિલ હવે નેશનલ એસેમ્બલી (NA) માં રજૂ કરવામાં આવશે, જેમાં કુલ 336 સાંસદો છે. સરકાર પાસે પહેલાથી જ 233 સાંસદો છે, જે બે તૃતીયાંશ બહુમતી (226 મત) કરતાં વધુ છે, તેથી બિલ પસાર થવાની દરેક તક છે. આ બિલ કાયદો બન્યા બાદ પાકિસ્તાનમાં મુનીરની સત્તા વધુ વધશે અને શાહબાઝ શરીફ સરકાર પર તેની પકડ વધુ મજબૂત બનશે.





