અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં બીઆરટીએસ બસ માટે રોડ પર અલાયદો કોરી ડોર બનાવવામાં આવ્યો છે. બીઆરટીએસ બસ કોરીડોરને કારણે રોડ સાંકડો બની જતાં ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો સર્જાય રહ્યા છે. બીઆરટીએસ બસ એના નિર્ધારિત રૂટ્સ પર ઝડપથી પહોંચી શકે તે માટે કોરીડોર બનાવવામાં આવ્યા છે. પણ આ પ્રોજેક્ટ નિષ્ફળ નિવડ્યો છે. કારણ કે ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલને લીધે બીઆરટીએસ બસને રોકાવવું પડે છે. એટલે મિક્સ ટ્રાફિકમાં જો બીઆરટીએસ બસ ચલાવવામાં આવે તો ઝડપથી પહોંચી શકાય તેમ છે. આથી સત્તાધિશોને જ્ઞાન લાધતા હવે નવા વિસ્તારોમાં બીઆરટીએસ કોરીડોર ન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના સૌથી મોટા અમદાવાદ શહેરમાં નાગરિકોને બસ સેવા પૂરી પાડવા બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) બસ વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી. બાદમાં સુરત અને રાજકોટમાં પણ આ સેવા શરૂ કરી હતી. નાગરિકોનો સમય બચાવવા માટે પોતાના નિર્ધારિત સ્થળે ઝડપથી પહોંચડવા આ સેવા શરૂ કરવામાં આવી હતી. જેથી BRTS બસ ચલાવવા અલગ કોરિડોર બનાવવામાં આવ્યાં હતાં. જો કે બીઆરટીએસ બસ સેવાના કોરિડોર હવે બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે. હવે મિક્સ ટ્રાફિકમાં જ બસો ચાલી રહી છે. આમ BRTS પ્રોજેક્ટનું વિસ્તરણ બંધ થઈ ગયું હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવવાનું બંધ કરવામાં આવ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદમાં કોરોના કાળ પહેલા જ કોરિડોર બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ જે રૂટ શરૂ કરવામાં આવેલા છે તેને મિક્સ ટ્રાફિકમાં બસો દોડાવવામાં આવી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં BRTS કોરિડોર બન્યા બાદ નવો કોઈ કોરિડોર બનાવવામાં આવ્યો નથી. બીઆરટીએસ બસ ઝડપથી અને સરળતાથી પસાર થઈ શકે તે માટે અલગ કોરિડોર બનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલમાં બીઆરટીએસ માટે પણ અલગથી તેનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જોકે હવે આ કોરિડોર બંધ કરવા પાછળનું કારણ તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.



