હિન્દુજા ગ્રૂપની પ્રમુખ ભારતીય એન્ટિટી અને દેશના અગ્રણી કમર્શિયલ વ્હીકલ નિર્માતા અશોક લેલેન્ડે જાહેરાત કર્યું છે કે તે નેક્સ્ટ જનરેશન બેટરીના વિકાસ અને ઉત્પાદનમાં રોકાણ કરશે. આ બેટરીનો ઉપયોગ ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ બંને ક્ષેત્રોમાં થશે, જેમાં એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ પગલું ભારતમાં ઇલેક્ટ્રીફિકેશન ઇકોસિસ્ટમ વિકસિત કરવામાં અશોક લેલેન્ડના સંકલ્પને મજબૂત બનાવે છે, જે સસ્ટેનેબલ અને હરિયાળા અર્થતંત્રના નિર્માણના સરકારના વિઝન સાથે સુસંગત છે.
ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાના બેકડ્રોપમાં અશોક લેલેન્ડે ચીનની અગ્રણી બેટરી ટેકનોલોજી કંપની સીએએલબી ગ્રૂપ સાથે લાંબાગાળાની વિશિષ્ટ ભાગીદારી કરી છે.
આ કરાર ઉપર અશોક લેલેન્ડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શેનુ અગ્રવાલ અને સીએલબીએ (એચકે) કંપની લિમિટેડના સીઈઓ જેકી લિયુએ હિન્દુજા ગ્રુપના ઓલ્ટરનેટિવ એનર્જી એન્ડ સસ્ટેનેબિલિટી ઈનિશિએટિવ્સના પ્રેસિડેન્ટ શૌમ હિન્દુજાની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતા.
અશોક લેલેન્ડ ભારતમાં બેટરી લોકલાઇઝેશનમાં રોકાણ કરશે. આ માત્ર અશોક લેલેન્ડ એન્ડ સ્વિચની પોતાની ઇલેક્ટ્રિક વાહન શ્રેણીને જ નહીં, પરંતુ સમગ્ર ઓટોમોટિવ ક્ષેત્ર અને એનર્જી સ્ટોરેજ ક્ષેત્રમાં બાહ્ય માગને પણ પૂર્ણ કરશે. આગામી 7-10 વર્ષમાં આ વ્યવસાયમાં રૂ. 5000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે.
અશોક લેલેન્ડના ચેરમેન ધીરજ હિન્દુજાએ કહ્યું હતું કે, “અશોક લેલેન્ડ સસ્ટેનેબલ મોબિલિટીના ભવિષ્યને દિશા આપવાના સરકારના વિઝન પ્રત્યે સંપૂર્ણપણે કટીબદ્ધ છે. સીએએલબી સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી ભારતમાં સ્થાનિક સ્તરે બેટરી સપ્લાય ચેઇન વિકસિત કરવામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ઇલેક્ટ્રિક વાહનોના અપનાવવાને વેગ આપવા અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.”








