અમદાવાદઃ ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં  રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ‘108 ઇમરજન્સી સેવા’ આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ‘108  ઇમરજન્સી સેવા’ 24×7 વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે.

રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ‘108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી નવેમ્બર–2025 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.86 કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 108 દ્વારા 60.23 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ 22.55  લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 18 લાખથી વધુ નાગરિકોના જીવ બચાવવામાં આવ્યા છે. તદુપરાંત એમ્બ્યુલન્સમાં 97.295  જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર 59.903  એમ કુલ 1.57  લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

રાજ્યમાં ‘108 ઇમરજન્સી સેવા’ ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ 2025 સુધીમાં 1,37  કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે તેવી જ રીતે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 17.40  લાખથી વધુ કોલ એટેન્ડ કરીને 59 વાન દ્વારા 3.47  લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યમાં વર્ષ 2017માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ 2025 સુધીમાં કુલ 52.29  લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. વર્ષ -2018માં શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 758  જેટલા નાગરિકોનો આપાતકાલીન સેવાઓ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં બે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here