બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર અનેક વાંધાજનક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં કેટલાક મૌલવી અને ધાર્મિક વક્તાઓ હિંદુઓ વિરુદ્ધ નફરતભર્યા ભાષણો આપતા જોવા મળે છે. તેઓ લોકોને હિંદુ કે બિન-મુસ્લિમ ઉમેદવારોને મત ન આપવા અપીલ કરી રહ્યા છે. આ નિવેદનોએ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.
‘હિંદુને મત આપવો હરામ છે’
વાયરલ વીડિયોમાં, એક મૌલવી ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કહેતા જોવા મળે છે કે કોઈપણ હિંદુ અથવા “કાફીર” ઉમેદવારને મત આપવો ઇસ્લામમાં પ્રતિબંધિત (હરામ) છે. આ નિવેદનને ભડકાઉ અને ચૂંટણી પહેલા વાતાવરણ બગાડનારું માનવામાં આવી રહ્યું છે.
મંદિરો અને ઈસ્કોનને ધમકીઓ
અન્ય એક વીડિયોમાં કેટલાક વક્તાઓ હિન્દુ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને ખુલ્લેઆમ ધમકી આપતા જોવા મળે છે. વીડિયો અનુસાર તેઓ મંદિરો અને મૂર્તિઓને તોડી પાડવાની વાત કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં હાજર ઈસ્કોન સંગઠનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિંસામાં વધારો
આ વીડિયો એવા સમયે સામે આવ્યા છે જ્યારે તાજેતરના સમયમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના સભ્યો પર અનેક હુમલા થયા છે. આ ઘટનાઓમાં અનેક લોકોના મોત થયા છે જેના કારણે ભયનો માહોલ સર્જાયો છે.
ભારતે ચિંતા વ્યક્ત કરી હતી
ભારત સરકારે આ ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને તેમની સંપત્તિઓ પર વારંવાર થતા હુમલાઓ ગંભીર ચિંતાનો વિષય છે.
કડક કાર્યવાહીની માંગ
રણધીર જયસ્વાલે કહ્યું કે આવા મામલામાં તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ હુમલાઓને અંગત ઝઘડા કે રાજકીય સંઘર્ષ તરીકે નકારી કાઢવું ખોટું છે.
ભીડથી ભાગતા યુવકનું મોત
તાજેતરની એક ઘટનામાં, 25 વર્ષીય મિથુન સરકારનું ચોરીના આરોપમાં ટોળા દ્વારા હુમલો કરવામાં આવતા મૃત્યુ થયું હતું. પોતાને બચાવવા તેણે કેનાલમાં કૂદી પડયો પણ ડૂબી ગયો. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, મોની ચક્રવર્તી, રાણા પ્રતાપ બૈરાગી અને ખોકન ચંદ્ર દાસ સહિત ઘણા હિન્દુ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. દીપુ ચંદ્ર દાસને માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.



