આજે દેશભરમાં ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દિવાળીના બે દિવસ પહેલા આવે છે. ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ધનતેરસ પર સોના-ચાંદીનું બમ્પર વેચાણ થાય છે. આ ઉપરાંત તાંબા, પિત્તળ, સ્ટીલના વાસણો અને સાવરણી પણ મોટી માત્રામાં ખરીદવામાં આવે છે. જોકે, સોના અને ચાંદીના રેકોર્ડ બ્રેક ભાવને કારણે આ વર્ષે ખરીદીમાં ઘટાડો થવાની ધારણા છે. જો તમે ધનતેરસ પર સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે કયો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે, જ્વેલરી કે સિક્કા.
જ્વેલરી
સોના કે ચાંદીના દાગીના ખરીદવા પર 3 ટકા જીએસટી સાથે ભારે મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. જ્વેલરીની ડિઝાઇન, વસ્તુ, વજન, કંપની અને વેપારીના આધારે મેકિંગ ચાર્જિસ બદલાય છે અને તે 10 થી 40 ટકા સુધી હોઇ શકે છે. આ સિવાય મેકિંગ ચાર્જ પર તમારે વધારાનો 5 ટકા GST ચૂકવવો પડશે. મેકિંગ ચાર્જ જ્વેલરીની કુલ કિંમતમાં નોંધપાત્ર વધારો કરે છે. જો કે, જ્યારે તમે આ જ્વેલરી વેચો છો, ત્યારે તમે માત્ર GST ગુમાવશો જ નહીં પરંતુ તેમને બનાવવા માટે ખર્ચવામાં આવેલી નોંધપાત્ર રકમ પણ ગુમાવો છો.
સિક્કા
સિક્કાની વાત કરીએ તો તમારે સોના અને ચાંદીના સિક્કા પર પણ 3 ટકા GST ચૂકવવો પડશે. સિક્કા પર મેકિંગ ચાર્જ વિવિધ પરિબળોના આધારે 3 થી 11 ટકા સુધીનો હોઈ શકે છે. આ ઉપરાંત, તમારે મેકિંગ ચાર્જ પર 5 ટકા GST પણ ચૂકવવો પડશે. તેથી, રોકાણના હેતુઓ માટે જ્વેલરી ખરીદવી ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. જો કે, સોના અથવા ચાંદીના સિક્કા ખરીદીને તમે જ્વેલરી ખરીદવાની તુલનામાં ચાર્જીસમાં ઘણી બચત કરી શકો છો.


