અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)અમદાવાદ દ્વારા તાજેતરમાં મીડિયોત્સવ ૨૦૨૫નું ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી અને સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા.

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરતા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જાણીતા ફિલ્મ મેકર અભિષેક જૈને સંસ્થાની આ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે આ પ્રકારની બૌદ્ધિક અને રચનાત્મક પ્રવૃત્તિઓવાળી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિઓ બહાર આવે છે. ફિલ્મ અને કલાના ક્ષેત્રોમાં આ પ્રકારના રચનાત્મક વિચારોવાળા લોકોની હંમેશા જરૂરિયાત રહે છે અને ઇન્ડસ્ટ્રીને પણ આવા કાર્યક્રમમાંથી જરૂરી ટેલેન્ટ મળતું હોય છે.


