અમદાવાદઃ 20 નવેમ્બર, 2025,  World Heritage Week વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી શરૂ થઇ છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા મેળવનાર અમદાવાદ શહેરનો ઇતિહાસ, સ્થાપત્ય અને સંસ્કૃતિના અમૂલ્ય વારસાને ઉજાગર કરવા આ સપ્તાહમાં વિશેષ આયોજનો થયા છે. જેની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેરિટેજ વિભાગ દ્વારા હેરિટેજ વીકનાં અંતર્ગત ટૂર ઓપરેટર્સ અને એજન્સીઓ સાથે મળીને અમદાવાદને વૈશ્વિક સ્તરે પ્રવાસનનું સ્થળ તરીકે ઓળખ મળે તે માટેના પ્રયત્નો થાય તે માટેની વિવિધ પ્રવૃત્તિઓનું હાથ ધરવામાં આવી છે. તેમજ અમદાવાદ ઇન્ટરનેશનલ બૂક ફેસ્ટિવલ 2025માં અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટનો સ્ટોલ મૂકાયો છે, જ્યાં જાહેર જનતા અમદાવાદનાં હેરિટેજને કઇ રીતે વધુ યોગ્ય બનાવી શકાય તે માટેનાં સૂચનો આપી શકે છે.

અમદાવાદમાં પર્યટનને પ્રોત્સાહન મળે તે માટે AMC દ્વારા શહેરને ‘ટુરીઝમ ગેટવે’ તરીકે વિકસાવવાની દિશામાં અનેક પગલાં હાથ ધરવામાં આવ્યા છે. લાંબા સમયથી જોવા મળતું હતું કે ગુજરાતમાં આવતા પર્યટકો સીધા અન્ય જિલ્લાઓ તરફ જતા હતા, જેમ કે કચ્છ, ગિરનાર કે અન્ય સ્થળો પરંતુ અમદાવાદમાં રોકાતા નહોતા. જોકે હેરિટેજને પ્રોમોટ કરીને અમદાવાદ શહેરનું અલગ પ્રકારનું બ્રાન્ડિગ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે શહેરમાં અનેક જાગૃતિનાં કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત શહેરના કોટ વિસ્તારમાં આવેલાં હેરિટેજ ઘરોના રિપેરિંગ રિસ્ટોરેશન અને ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી અને હેરિટેજ વિભાગ દ્વારા સાથે મળીને સક્રિય રીતે કામગીરી કરવામાં છે.

AMC દ્વારા આયોજિત હેરિટેજ વૉક વર્ષના 365 દિવસ ચાલુ રહે છે અને ખાસ કરીને વિદેશી પ્રવાસીઓમાં તેનો વિશાળ પ્રતિસાદ જોવા મળે છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી લઈને ત્રણ દરવાજા સુધી ચાલતા આ વૉક રૂટને હવે વધુ સુંદર અને સંગઠિત બનાવવા વૉકવે અપગ્રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ પર આવેલી દુકાનોને પણ એકસમાન ડિઝાઇનમાં રિસ્ટોરેશન કરીને સમગ્ર રૂટને એકરૂપ આધુનિક-પરંપરાગત રૂપ આપવાનું આયોજન કર્યું છે.

આ વર્ષે 17 થી 23 નવેમ્બર દરમિયાન શહેરમાં અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા છે, જેમાં આર્ટ વૉક, ફૂડ હેરિટેજ વૉક, સ્કેચિંગ સેશન્સ, ક્યુરેટેડ આર્કિટેક્ચરલ ટૂર્સ, હેરિટેજ આધારિત સ્કિટ્સ અને યુથ-લેડ ટ્રેઝર હન્ટ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ‘Whispers of the Walls’ અને ‘Voices of Amdavad’ જેવા કાર્યક્રમો દ્વારા નાગરિકો તથા પ્રવાસીઓએ શહેરની હેરિટેજ ઓળખને નવી દ્રષ્ટિએ નિહાળવાનો અવસર પ્રાપ્ત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here