સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ભોગાવો નદીમાંથી રેતીની ચોરી સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો નદીમાં ચેકીંગ હાથ ધર્યં હતું જે દરમિયાન અંદાજે 4 કરોડથી વધુની ગેરકાયદેસર ખનીજચોરી અને વાહનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામ નજીક ભોગાવો નદીમાં રેતીનું ગેરકાયદે ખનન ચાલતુ હોવાથી વઢવાણ પ્રાંત અને મામલતદાર ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં 3 ટ્રક 700 ટન રેતી સહિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલની સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા તથા ઈનચાર્જ મામલતદાર વઢવાણ બીજલભાઈ ત્રમટા તથા ટીમ સહિતની સંયુક્ત ટીમ દ્વારા નાના-કેરાળા ગામની ભોગાવો નદીમા ચાલતા ગેરકાયદે રેતી ચોરી તથા ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનોનું ચેકિંગ તેમજ ખનીજના સ્ટોક ધારકો પાસેથી સ્ટોક રજિસ્ટરોની તપાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં કુલ 3 ટ્રકોમાં વોશ રેતી ભરેલા ઓવરલોડ રોયલ્ટી પાસ પરમીટ વગરના ટ્રકો તેમજ સ્ટોક ધારકો પાસેથી અલગ અલગ જગ્યાએથી અંદાજીત 700 ટન ગેરકાયદે સ્ટોક કરેલી રેતીના જથ્થા સહિત કુલ રૂ. 2.75 કરોડનો મુદ્દામાલ ભૂસ્ત૨ શાસ્ત્રીની કચેરી સુરેન્દ્રનગર ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત વઢવાણ તેમજ લખતર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા વાહનો અંગે ચેકીંગ હાથરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ડમ્પર ઓવરલોડ બ્લેકટ્રેપ ભરેલા ઝડપી પાડયા હતા અને કુલ રૂપિયા 1.25. કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.આમ બે દિવસમાં અંદાજે રૂપિયા 4 કરોડની ખનીજચોરી પકડી પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફલાઈ જવા પામ્યો છે.