મહેસાણાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 24 માર્ચ 2025ના રોજ વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરનું શિખર સુવર્ણમય બનતાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ યજ્ઞશાળાને ખુલ્લી મુકી ઉપરાંત પ્રવાસન વિભાગ દ્વારા બનાવાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ CMએ લોકાર્પણ કર્યું છે.
ગુજરાત સરકારે અંબાજી, મોઢેરા સૂર્યમંદિર બાદ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આશરે રૂ.5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શોનુ નિર્માણ કર્યું છે. આ ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં 1.400 કિલો સોનાથી મંદિર સુવર્ણમય બન્યું. દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી આ કાર્ય શક્ય બન્યું છે.
હાટકેશ્વર મંદિરના આગળના ભાગે સિમેન્ટ, ક્રોંક્રિટનો ઉપયોગ કર્યા સિવાય રાજસ્થાનના ધોલપુરના પથ્થર પર ઉભી કરાયેલી છત્રી સાથેની યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે જે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી. અહીં હવન અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો કરી શકાશે. લાઈટ અને લેસર શૉમાં વડનગરના ઈતિહાસને ઉજાગર કરતો તેમજ હાટકેશ્વર દાદાના પ્રાગટ્ય સહિતના ઈતિહાસને દર્શાવાશે.
હાટકેશ્વર મંદિર વડનગર ખાતેથી સંબોધન કરતા CM ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, અહીં આવીને ધન્યતા અનુભવું છું. મંદિરના અને વડનગરના વિકાસ કામોથી વિકાસનો મંત્ર સાર્થક થયો છે. વડનગરએ પુરાતન નગરી છે જેનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત થયું છે . વડનગરએ 2500 વર્ષ જૂની નગરી છે. રાજ્યમાં પવિત્ર યાત્રાધામોમાં પવિત્ર સ્થાન હાટકેશ્વર મંદિર ધરાવે છે.


