(અલકેશ પટેલ) ગાંધીનગર, 24 ડિસેમ્બર, 2025: organ donation activity “મોટી મોટી હોસ્પિટલો અને તેમાંય સરકારી હોસ્પિટલો પણ દર્દી જો બ્રેઈનડેડ હોય તો તેનું ડિક્લેરેશન કરતી નથી અને પરિણામે ઓર્ગન ડોનેશનની દિશામાં થવી જોઈએ એવી કામગીરી થતી નથી,” તેમ ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું છે. અટલ બિહારી વાજપેયીની જન્મતિથિની પૂર્વસંધ્યાએ આજે પાટનગર ગાંધીનગરમાં ઢળતી સાંજે રિવોઈ સાથે વિશેષ વાતચીત કરતા દેશમુખ દાદાના હુલામણા નામથી ઓળખાતા દિલીપભાઈએ કહ્યું કે, અંગદાન પ્રવૃત્તિ હજુ વધુ સુચારુ રીતે ચાલી શકે અને બીજા અનેક બીમાર લોકોને લાભ મળી શકે, પરંતુ હોસ્પિટલો બ્રેઈનડેડ ડિક્લેરેશન નહીં થતાં નથી.

લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા પોતે નવજીવન મેળવનાર દેશમુખ દાદાએ જોકે ઉમેર્યું કે, પાલનપુર, પાટણ, જૂનાગઢ અને અમુક અંશે ભાવનગરની સરકારી હોસ્પિટલો બ્રેઈનડેડ ડિક્લેરેશન કરે છે, પરંતુ કમનસીબે આપણે જ્યાં બેઠા છીએ તે પાટનગર ગાંધીનગરની સરકારી હોસ્પિટલ સહિત મોટાભાગની સરકારી હોસ્પિટલો તથા અન્ય મોટી હોસ્પિટલો આવું ડિક્લેરેશન કરતી નથી.

અંગદાન પ્રવૃત્તિને જ જીવનનું મિશન બનાવી દેનાર દિલીપભાઈએ અંગદાતા બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનોના એક પ્રશ્નના જવાબમાં રિવોઈને કહ્યું કે, આવા પરિવારોની કદર કરતા બે પુસ્તક અંગનું અર્પણ અને સાચું તર્પણ પ્રકાશિત થયાં છે. આ પુસ્તકોનું સંપાદન ચિંતન ચૌધરી તથા મકરંદ જોષીએ કર્યું છે. પુસ્તકોમાં અંગદાતા વ્યક્તિઓના 75 પરિવારજનો વિશે માહિતી આપવામાં આવી છે.

અંગદાન માટે સામાન્ય રીતે તૈયાર થનાર પરિવાર કયા હોય છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, એવું કશું નિશ્ચિત નથી હોતું પરંતુ અનેક પરિવાર એવા હોય છે જેમની આર્થિક-સામાજિક સ્થિતિ ઘણી નબળી હોય છે. અને અમારી સંસ્થા આવા પરિવારોના સંપર્કમાં રહે છે અને આવા અંગદાતા વ્યક્તિ પરિવારના મોભી જ હોય ત્યારે કુટુંબ માટે આર્થિક સંકટ ઊભું થતું હોય છે. એ સમયે સંસ્થા વતી શક્ય તેટલી મદદ કરવામાં આવે છે. ક્યારેક સંતાનોને અભ્યાસમાં મદદ કરવામાં આવે છે તો ક્યારેક આર્થિક રીતે સાવ નબળા કુટુંબીજનોને સહાયની કિટ દ્વારા ટેકો આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here