ગાંધીનગરઃ CM Nutritious Snack Scheme દેશમાં સુશાસનના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી એટલે કે 25 ડિસેમ્બરનો દિવસ ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના મૂલ્યોને અનુસરતાં નાગરિકોના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ યોજનાઓની શરૂઆત કરી છે. આમાં એક મહત્વની યોજના છે- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે બાળકોના શિક્ષણ સાથે પોષણ પણ સુનિશ્ચિત કરે છે. આ યોજનાનો લાભ ગુજરાતના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.
બાળકોના શિક્ષણ સાથે પોષણ પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે અને સાથે જ બાળકોમાં પોષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી, વીજળી, શૌચાલય, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.”
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાએ સુશાસનને આપી નવી દિશા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. તેમણે લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરીને સુશાસનને નવી દિશા આપી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ 11 ડિસેમ્બર 2024ના રોજ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ગુજરાત મિશન હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મળે એ સુનિશ્ચિત કરવાનો છે.


