નડિયાદ, 15 ફેબ્રુઆરી-2026:  ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 લોકોને  ખોરાકી ઝેરની અસર થતાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને રાત્રે જ સર્વે અને સારવારની કામગીરી હાથ ધરી હતી.આરોગ્ય વિભાગે આઇસ્કીમના નમુના લઈને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, માતર તાલુકાના સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં સાંજના સમયે ભોજન લીધાના ચાર કલાક બાદ લોકોને ઝાડા- ઉલટી અને ગભરામણની ફરિયાદો થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આઇસ્કીમ ખાધા બાદ 150થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને જિલ્લા આરોગ્ય અધિકારી, નાયબ મામલતદાર અને આરોગ્ય વિભાગનો સ્ટાફ સિંજીવાડા ગામે દોડી આવ્યો હતો અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામમાં ઘેર ઘરે જઇને સર્વે શરૂ કર્યો હતો. કેટલાક અસરગ્રસ્તો સ્થળ પર જ સારવાર આપાવમાં આવી હતી. જેમાં પાંચ લોકોને તબિયત વધુ નાજુક જણાતા અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપી દેવામાં આપી હતી. હાલમાં તમામ દર્દીઓની હાલત સ્થિત હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામજનોના કહેવા મુજબને લગ્નમાં હલવો, રોટલી, પુરી, દાળ શાક જેવી વાનગીઓ સાથે આઇસ્કીમ પણ રાખવામાં આવ્યો હતો. ભોજન અને આઈસ્ક્રિમ ખાધા બાદ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારીના કહેવા મુજબ  રાત્રે માહિતી મળતા જ ડોક્ટરોનો સ્ટાફ દ્વારા ઓપીડી શરૂ કરીને સારવાર આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આઇસ્કીમના કારણે ખોરાકી ઝેરની અસર થવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા ખોરાકના નમૂના લાઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને હાલમાં સ્થિતિ  નિયંત્રણમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here