સાઉદી અરેબિયામાં એક મોટો અકસ્માત થયો છે. ઓછામાં ઓછા 42 ભારતીયોના મોત થયા છે. આ તમામ લોકો ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગયા હતા. સોમવારે સવારે મુસાફરો મક્કાથી મદીના જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, મુફર્રીહાટ નજીક IST સવારે લગભગ 1:30 વાગ્યે અકસ્માત થયો હતો. સૂત્રોનું કહેવું છે કે મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ હૈદરાબાદ અને તેલંગાણાના રહેવાસી હતા. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સમયે બસમાં 20 મહિલાઓ અને 11 બાળકો સવાર હતા.
આ યાત્રાળુઓ ઉમરાહ કરવા ગયા હતા. મક્કા (અરકાન)માં પોતાની ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેઓ મદીના જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બસમાં ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા. સ્થાનિક સૂત્રોએ મૃતકોની સંખ્યા 42 હોવાની પુષ્ટિ કરી છે. ઈમરજન્સી સેવાઓ હાલમાં બચાવ કામગીરી કરી રહી છે.
ઓવૈસીએ દુઃખ વ્યક્ત કર્યું
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરેબિયામાં બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. “મક્કાથી 42 તીર્થયાત્રીઓને લઈ જતી બસમાં આગ લાગી હતી. મેં રિયાધમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ મિશનરી (ડીસીએમ) અબુ માથેન જ્યોર્જ સાથે વાત કરી હતી, જેમણે મને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે માહિતી એકઠી કરી રહ્યા છે,” તેમણે કહ્યું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મેં હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરોની વિગતો રિયાધ એમ્બેસી અને વિદેશ સચિવ સાથે શેર કરી છે. હું કેન્દ્ર સરકારને, ખાસ કરીને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને વિનંતી કરું છું કે મૃતકોના મૃતદેહોને ભારત લાવવામાં આવે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે.”



