ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરત ખાતે એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. પોલીસ કમિશનર કચેરી ખાતે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જી.ઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીઓએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે ૨૦૨૪ના વર્ષમાં કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. બેઠકમાં ભવિષ્યના રોડ મેપ સાથે પરિણામલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ક્રાઈમ કોન્ફરન્સ બાદ ડીજીપી વિકાસ સહાયે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરી વધુ અસરકાર બને તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબંધો કેળવાય, નાગરિકોને સલામતી અને સુરક્ષાની પ્રતિતી થાય તે માટે પોલીસ દ્વારા કોમ્યુનિટી આઉટરિચ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. ‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ સમગ્ર રાજ્યમાં ૨૦૨૪ના વર્ષમાં ૩૩૦૦ કાર્યક્રમો દ્વારા લોકોને રૂા.૧૫૩ કરોડની લુંટ, ચોરી, ફ્રોડ થયેલી અને વ્યાજખોરોએ પડાવી લીધેલી મિલકતો પરત કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ની ભાવના પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બની રહી છે.
રાજ્યના ૬૫૦ પોલીસ સ્ટેશનો, ૭૦૦ આઉટ પોસ્ટ, ચોકીઓના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા બે મહિને ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં આવે છે. ૨૦૨૪માં રાજ્યમાં ૧૦,૫૦૦ જેટલા આવા કાર્યક્રમો યોજી તેમાં મળેલા સ્થાનિક મુદ્દાઓ પર ભવિષ્યની કામગીરીને બહેતર બનાવવાનું મંથન કરાયું હોવાની વિગતો તેમણે આપી હતી. વ્યાજખોરી સામે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ કરવામાં આવી છે, જેમાં ૨૦૨૪માં ૭૧૫ વ્યાજખોરો સામે ગુનાઓ, એફ.આઇ.આર દાખલ કરીને ૧૫૦૦થી વધુ લોકોની અટક કરવામાં આવી છે જેના પરિણામે વ્યાજખોરીનું દૂષણ ઘટ્યું છે.
સાયબર ફ્રોડ-સાયબર ક્રાઈમ પર મંથન કરીને પરિણામલક્ષી કામગીરી થઈ શકે તે માટેની ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૦૮ કરોડ તેમને પરત કરવામાં આવ્યા છે. લોકો વધુમાં વધુ સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃત થાય તે જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે, કોઈ પણ સમયે અજાણી લિંક પર ક્લિક ન કરતા સાયબર વિશ્વમાં હંમેશા એલર્ટ રહેવાની અપીલ કરી હતી.