અમારા ઘરમાં મારી નાની દીકરીએ એની માટે દિવાળી શોપિંગ કર્યું તો રોજ કોઈને કોઈ પાર્સલ આવે ! સપ્ટેમ્બરમાં જન્મદિવસ ગયો તો મારી માટે પણ ગીફ્ટ ઓર્ડર કરી! મેં એક દિવસ પુછ્યુ કે આ ઓનલાઈન શોપિંગનાં રુપિયા કોને મળે? એટલે કે ક્યાં દેશને? એણે કહ્યું મમ્મી આ તો બધી ઈન્ટરનેશનલ કંપની માંથી બ્રાન્ડેડ ખરીદી કરી તો! ઓબ્યેશલી આ રુપિયા વિદેશમાં જ જાય ને! મેં કહ્યું તમે બધા યુવાનો આવી ખરીદી ન કરો તો આ કંપનીની કમાણી બંધ થઈ જાય ! અને રુપિયો તૂટે નહીં! એ પણ વિચારતી થઈ! આ તો મારા ઘરનું એક નાનું એવું ઉદાહરણ છે! બાકી સમાજ દર્શનમાં જોઈએ તો આજકાલ દિવાળીને લઈને લોકોમાં સારું એવું એક્સાઈમેન્ટ છે, અને એ અંગેની ખરીદી પણ ધૂમ મચાવી રહી છે, તો બીજી બાજુ ઓછી આવક ધરાવતો સમાજ દિવાળી સુધી તહેવાર માટે કોઈ ખરીદી કરી શકતો નથી. આટલો વિરોધાભાસ શું કામ સર્જાય છે?: દેખીતી રીતે મંદીની અસર સમાજનાં ધનવાનોને એટલી વર્તાતી નથી, તેમજ ઉચ્ચકક્ષાનાં નોકરિયાત મધ્યમ વર્ગને પણ ઓછી વર્તાય છે. કારણ કે તેઓને એમ બે પાંચ રૂપિયાથી એટલો ફેર પડતો નથી, એટલે એ લોકો પોતાની જરૂરિયાતોને આસાનીથી સંતોષી શકે છે, અને તહેવાર અંતર્ગત જે કંઈ ખરીદવું હોય તેનું આયોજન કરીને ખરીદી શકે છે. જ્યારે મધ્યમ વર્ગમાં પણ મધ્યમ શ્રેણી અને શ્રમજીવી લોકોને તહેવારના સમયે રૂપિયાની અછત વર્તાય છે. કારણ કે રોજગારી ઘટી ગઈ હોવાથી, એટલું સારું કામ મળતું નથી, અને આજીવિકા માટે જે કંઈ સાધન સ્વીકાર્યું હોય એમાંથી રોજિંદુ જીવન પણ માંડ નીકળતું હોય છે. અહીં એક વાત ખાસ એ પણ લખવી જરૂરી છે કે આ વર્ગનાં લોકો આયોજન કરીને જીવતાં નથી, અને જે આવ્યું હોય એમાંથી કંઈ બચી શકે એમ છે કે નહીં? એ પણ વિચારતાં નથી, અને વ્યસનમાં વાપરી નાખે છે. કોઈએ બતાવ્યાં હોય તો એ ઓચિંતાની માંદગી, મહેમાન, કે વ્યવહાર આવી જતા વપરાય પણ જતાં હોય છે. એટલે એકંદરે દિવાળી વખતે એમની પાસે રુપિયા ન હોવાથી પોતાની ઈચ્છા પ્રમાણે તહેવાર ઉજવી શકતાં નથી.
અત્યારે હમણાં જ એમેઝોનનું સુપર ધમાકા સેલ સમાપ્ત થયું અને એમાં બ્રાન્ડેડ ટીવી, ફોન,એસી માઈક્રોવેવ, ઓવન, એસી, ફ્રીઝ, વેક્યુમ ક્લીનર, ગેસ બોટમ, હોટ પ્લેટ, એરિસ્ટોક્રેટ વીઆઇપી કે અમેરિકન ટુરિઝમની બેગ, વોશીંગ મશીન, મિક્ષ્ચર, જ્યુસર અને અન્ય કીચન વેર, ફેશન એસેસરીઝ, તેમજ બ્રાન્ડેડ કપડાં જાતજાતનું, 10% થી શરૂ કરીને 50% ઉપર સેલમાં વેચાયું, અને સૌ આવાં સેલની રાહ જોઈ ખૂબ ખરીદી કરે છે. બેરોજગારી સર્વોચ્ચ સપાટીએ હોવાનું એક કારણ આ પણ છે કે, સ્માર્ટ ફોનના આવતા સોશિયલ મીડિયા અતિ પ્રચલિત પ્લેટફોર્મ બન્યું છે, અને ભારત સહિત અન્ય વિદેશી ઓનલાઇન શોપિંગની ભરમાર અહીં શરૂ થઈ છે, અને એ પ્રમાણમાં સસ્તુ તથા ગુણવત્તા ભર્યું પણ હોય છે. કોઈ કોઈ ફેક કંપની પણ હોય, એટલે ઘણી વાર લોકો છેતરાતા પણ હોય છે. પરંતુ ઘરે બેઠા આપણી વસ્તુઓ આરામથી પ્રાપ્ત થાય, અમુક દિવસનો એક્સચેન્જ તેમજ કેન્સલનો ઓપ્શન મળતો હોય, આ ઉપરાંત કિંમત પણ ઓછી હોય, તો કોઈ શું કામ ન ખરીદે!! બસ આ કોન્સેપ્ટ ધીરે ધીરે હવે વ્યાપક બનતો જાય છે, અને જેને કારણે રોજગારી ઘટી રહી છે. દિવાળી સમયે દુકાનોમાં ગ્રામ્ય પ્રજા અને અન્ય શ્રમજીવી પ્રજાના લોકો દ્વારા જે કંઈ ખરીદી થાય, એટલી જ આમદની લોકલ માર્કેટના ધંધાદારીઓને મળે છે. આ ઉપરાંત શોપિંગ મોલ, બીગ બાસ્કેટ તેમજ બ્લીંકીટ થતાં, લોકો નાની નાની દુકાનોમાં ગ્રોસરી લેવા જતાં પણ નથી, એટલે શ્રમજીવી તેમજ ગ્રામ્ય જનતા પાસે આમ પણ એટલી બચત હોતી નથી, એટલે સમાજનાં નોકરિયાત વર્ગ પાસેથી જે આવક થવી જોઈએ, એ આવક બંધ થતા ધંધા રોજગાર ઠપ થતા જાય છે. આજકાલ તો સતત ક્યાંકને ક્યાંક યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી હીરામાં પણ વારંવાર મંદી આવે છે, અને કેટલાય કારખાનોમાં દિવાળીનું વેકેશન 15 દિવસ પહેલા પડી જાય. કેટલાય હવે નહીં ખુલે એવી દહેશતમાં તહેવાર કેમ ઉજવે!
આર એસ એસ તો એમેઝોનને ઈસ્ટ ઈન્ડિયા કંપની તરીકે સરખાવે છે, અને કહે છે કે એમેઝોનનું વિસ્તરતું વ્યાપક પ્રમાણ આપણને ફરીથી ગુલામી તરફ દોરી રહ્યું છે, જોકે હવે તો ફ્લીપકાર્ટ પણ વિદેશી કંપની જ છે. આ ઉપરાંત વિદેશી કંપનીઓ એપલ અને બીજી કંપનીઓ માર્કેટમાં પોતાના દેશ કરતાં પણ વધું રૂપિયા આપણી પાસેથી કમાઈ લે છે, અને એટલે એમનાં આર્થિક તંત્ર મજબૂત બને છે. જોકે હવે ઇન્ડિયન ઓનલાઈન શોપિંગ કંપનીઓ પણ શરૂ થઈ છે, પરંતુ એ બધાં હોય કે વિદેશી હોય, જો ઓનલાઇન શોપિંગનું પ્રમાણ વધતું જશે, તો આવા શ્રમજીવી વર્ગને રોજગાર ક્યાંથી મળશે?? એ પણ એક બહુ ચિંતાજનક વાત છે, અને આ બધાને કારણે આપણા મધ્યમ વર્ગના લોકો બેરોજગારી તેમજ ગરીબીમાં પીસાય છે.
રાષ્ટ્રીય પુરસ્કૃતથી નવાજેલા ખેલાડીઓ તેમજ અન્ય ક્ષેત્રોના અગ્રણી, અભિનેતા તેમજ અભિનેત્રી ઓ આવી કંપનીઓનાં બ્રાન્ડ એમ્બેસેડર બની આજીવન કમાણી કરે છે, અને આમ ધનવાન વર્ગ વધુને વધુ ધનવાન થતો જાય છે, અને એ જ રીતે ગરીબ વધુને વધુ ગરીબ થતો જાય છે. આવું આપણે એટલે ચિંતન કરી રહ્યા છીએ કે, એ આપણા જ ભાઈ બહેનો છે, અને આપણા સમાજની આવી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ વિશે આપણે નહીં વિચારીએ તો બીજું કોણ વિચારશે? વિકાસ એની રીતે બરોબર છે, પરંતુ સમાજનો સર્વાંગી વિકાસ થાય ત્યારે જ તે આલેખનીય છે, અને ગરીબ અને ધનવાન વચ્ચેની ખાઈ તો દિવસે ને દિવસે વધતી જ જાય છે. એટલે સર્વાંગી વિકાસ તો દેખાતો નથી, એ એક જગ જાહેર બાબત છે. રાષ્ટ્રપ્રેમ દેખાડવાનાં ઘણા બધા રસ્તાઓ છે, બોર્ડર પર યુદ્ધ કરનારા તો પોતાનાં જીવની બાજી લગાવે જ છે! પરંતુ આપણે પણ આપણાથી ઓછી આવક ધરાવતા લોકોના ધંધા રોજગાર ચાલતા રહે, એવું કંઈક પગલું ભરવું જરૂરી છે, કમ સે કમ આવાં ફેરિયાઓ પાસેથી દરેક પરિવાર ભાવતોલ કરાવ્યા વગર એક એક વસ્તુ ખરીદે. એમનાં ઘરે પણ દિવાળીના દીવડાવો પ્રગટે એ જવાબદારી આપણી છે, અને એમને બે પાંચ રૂપિયા મળે એવું કંઈક કરવું જોઈએ. આ ઉપરાંત આપણા ઘરે રોજીંદા ઘરકામ માટે આવનારા પ્રત્યે પણ મમતાનું વલણ રાખવું, અને જુનું તો આપવું જ પણ નવું પણ લઈ દેવું, જેથી કરીને એ લોકો પણ દિવાળીનો ઉત્સવ ઉજવી શકે.
નાના માણસોને કામ મળશે કે આવી લાગણી અને હુંફ મળશે તો, એ લોકો છેતરપિંડી, ચોરી, લૂંટ, હિંસા, બલાત્કાર, હત્યા જેવા ગુનાઓમાંથી પણ બહાર આવશે, અને એ રીતે પણ સમાજ શાંત બનશે. ધનવાન કરે કે ના કરે! પરંતુ મધ્યમ વર્ગના લોકોએ તો, આપણા જ ભાઈ બહેનોની લાગણીને સમજવી જોઈએ, અને જે રીતે થાય, એ રીતે એમની મદદ કરીને એમનું ગુજરાન ચાલે છે કે નહીં? એ જોવું જોઈએ! તો આ છે આપણા જ સમાજનું એવું દર્શન, કે જેને જાણવા છતાં વિકાસને નામે આપણે વિમુખ થતાં જઈએ છીએ! દેશને ઉપર ઉઠાવવો હશે, તો આપણે આ બધું જ કરવું પડશે, અને તો જ આપણે ભારતીય હોવાનો દાવો કરી શકીશું. માત્ર ચુંટણીકાર્ડને આધારે ભારતીય કહેવડાવવું, એ એટલું યોગ્ય કે પર્યાપ્ત નથી, આ એ જ સમય છે, કે જે હર ઘડી આપણને નવયુગ નિર્માણ માટે પોકારી રહ્યો છે. જય હિન્દ.
લી, ફાલ્ગુની વસાવડા(ભાવનગર)








