અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાનએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે. જ્ઞાન ઉપાસક બ્રહ્મ સમાજ આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે.
બ્રાહ્મણ સમાજ મશીન સંચાલિત કૃત્રિમ બુદ્ધિ – એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે. બ્રાહ્મણ સમાજની જ્ઞાન વિરાસતને આધુનિક યુગનાં પરિમાણો સાથે જોડીને વડાપ્રધાનશ્રીની ‘વિરાસત ભી, વિકાસ ભી’ની ભાવના ચરિતાર્થ કરવા મુખ્યમંત્રીએ બ્રહ્મસમાજને આ તકે આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું. ‘સરકારના પ્રયાસમાં જ્યારે સમાજના પ્રયાસ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ જાય છે’ એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાતને યાદ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ વડાપ્રધાનશ્રીના એ વિચારને સાકાર કરે છે.








