ગાંધીનગરઃ પ્રત્યારોપણ-ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિશ્વપ્રસિદ્ધ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચની સંસ્થા-ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પાંચમા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલૉજી, નેફ્રોલૉજી, બાળ ચિકિત્સા નેફ્રોલૉજી અને ઍનેસ્થેસિયોલૉજીના ૮૪ સ્નાતકોત્તર ડૉક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમના માનવસેવા માટેના સમર્પણ, મહેનત અને નિષ્ઠા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, આ નિશ્ચિતપણે ગર્વની વાત છે કે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ. મહેતા કિડની રોગ અને સંશોધન કેન્દ્ર તેમજ ડૉ. એચ.એલ. ત્રિવેદી પ્રત્યારોપણ વિજ્ઞાન સંસ્થાને એક નવો ઈતિહાસ સર્જ્યો છે. આજે પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીજીના આત્માને નિશ્ચિતપણે આનંદની અનુભૂતિ થઈ રહી હશે. વર્ષ – 1981માં, જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિચારવું પણ મુશ્કેલ હતું, ત્યારે તેમણે એક દુરંદેશી ભર્યા દ્રષ્ટિકોણ સાથે આ અભિયાન શરૂ કર્યું હતું. આજે તેમનું આ સપનું સાકાર થતું જોવું એ અત્યંત આનંદની વાત છે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો દ્રષ્ટિકોણ હંમેશા નવનિર્માણ અને ઉત્કૃષ્ટતા તરફનો રહ્યો છે. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી અને ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની સ્થાપનાથી દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. આ જ શૃંખલામાં ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસની સ્થાપના પણ તેમના ‘ડ્રિમ પ્રોજેક્ટ્સ’નો ભાગ છે, જે ભારતને વૈશ્વિક કક્ષાએ અન્ય રાષ્ટ્રોની સમકક્ષ મૂકવાના તેમના સંકલ્પને દર્શાવે છે.
ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઈસ ચાન્સેલર ડૉ. પ્રાંજલ મોદી અને તેમની સમગ્ર ટીમના માનવ સેવા પ્રત્યેના સમર્પણ અને નિષ્ઠા અભૂતપૂર્વ છે. તેમણે પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે આ સંસ્થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મહેનત અને લગનથી આ સંસ્થા આવનારા સમયમાં વધુ ઊંચાઈઓને આંબશે.