ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં એઆરટીઓ કચેરીને અપગ્રેડ કરીને આરટીઓ કચેરીનો દરજ્જો અપાયો છે. જેથી નાગરિકોને લાભ થશે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે જિલ્લાની એઆરટીઓ કચેરી પર કામનું ભારણ વધી રહ્યું હતું. તેથી રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગાંઘીનગર એઆરટીઓ કચેરીને અપગ્રેડ કરીને આરટીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાને 37 વર્ષના લાંબા સમય પછી એઆરટીઓમાંથી આરટીઓ કચેરીનો દરજ્જો રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આરટીઓનો દરજ્જો મળવાથી ક્લાસ-1 અધિકારીની સાથે સાથે વહિવટી અધિકારીઓનો સ્ટાફમાં વધારો થશે. તેની સાથે સાથે આરટીઓ કચેરીના ક્લેરીકલ સ્ટાફમાં પણ વધારો થવાથી અરજદારોના કામો વધુ સરળતાથી અને સમયસર પૂર્ણ થશે.
ગાંધીનગરમાં ભૂતકાળમાં એટલે કે વર્ષ-1990 પહેલાં આરટીઓ અમદાવાદની સાથે સંલગ્ન હતી. આથી સમયાંતરે સચિવાલય ખાતે કેમ્પ કરીને આરટીઓની કામગીરી કરવામાં આવતી હોવાથી વાહનોની નંબર પ્લેટમાં જીજે-1નો ઉલ્લેખ કરીને સંલગ્ન ગાંધીનગરનો ઉલ્લેખ પણ કરવામાં આવતો હતો. પરંતું રાજ્ય સરકારે ગાંધીનગર જિલ્લાની રચના કર્યા બાદ તેમાં ચાંદખેડા, મોટેરા અને ગાંધીનગર શહેરનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ સમયાંતરે તેમાં કલોલ, દહેગામ અને માણસાને સામેલ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાનો દરજ્જો આપ્યા બાદ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓની લગતી કામગીરી માટે એઆરટીઓ કચેરી અંદાજે ગત વર્ષ-1990ના ઓક્ટોબર માસમાં શરૂ કરવામાં આવી હતી. એઆરટીઓ કચેરીને સેક્ટર-30ના સરકારી ક્વાર્ટસમાં ચલાવવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ-2010માં રાજ્ય સરકારે સેક્ટર-3 ન્યુ ખાતે એઆરટીઓ કચેરી માટે જગ્યા ફાળવીને મકાન સહિતની સુવિધા પૂરી પાડી હતી.
ગાંધીનગર જિલ્લામાં એઆરટીઓ કચેરી તરીકેની કામગીરી અંદાજે 37 વર્ષ સુધી ચાલી હતી. ત્યારબાદ ચાલુ વર્ષે એઆરટીઓ કચેરીને આરટીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. એઆરટીઓ ડી.બી.વણકરે કહ્યું કે વાર્ષિક આવતી અરજીઓ અને આવકના આધારે એઆરટીઓ કચેરીને આરટીઓ કચેરીનો દરજ્જો મળે છે. આરટીઓ કચેરી બનવાથી ક્લાસ-1 અધિકારીની નીચે બે એઆરટીઓ ઉપરાંત વહિવટી અધિકારીઓના સ્ટાફમાં વધારો થશે.