વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વર્ષોથી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રતા અપાતી હતી. આ વખતે જીકાસ દ્વારા પ્રવેશને લીધે કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની ફરિયાદો ઊઠી હતી. આ મુદ્દે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ યુનિના સત્તાધિશોને રજુઆત કરીને આંદોલનની ચીમકી આપી હતી. કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઇના આંદોલન બાદ પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો છે. એફવાય બીકોમમાં 50 ટકા સુધી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપવાનો નિર્ણય કરાયો છે. કોમર્સ ફેકલ્ટીમાં 450 બેઠકો વધારવામાં આવી છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મુદ્દે એનએસયુઆઇ દ્વારા સોમવારે ઉગ્ર આંદોલન કર્યું હતું. જેમાં હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જેના પગલે મોડી રાત્રે યુનિવર્સિટી સત્તાધીશોએ બેઠક યોજવી પડી હતી. કૂલપતિ ધનેશ પટેલ, કોમર્સના ડીન જે.કે.પંડયા, સીનીયર અધ્યાપક કલ્પેશ નાયકની ઉપસ્થિતમાં તમામ વિદ્યાર્થી સંગઠનો સાથે બેઠક કરી હતી. જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વિદ્યાર્થી સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી હતી.
એનએસયુઆઈ દ્વારા 50 ટકા સુધી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તો સમસ્યાનું નિરાકણ આવી શકે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. બેઠકના અંતે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં 50 ટકા સુધી સ્થાનિક વિદ્યાર્થીઓ કે જેમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને પણ સમાવેશ થઇ જાય તેવું નક્કી કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કોમર્સ ફેકલ્ટીમાં 6400 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. કોમર્સની કુલ બેઠકો 6850 જેટલી બેઠકો થશે. વિદ્યાર્થીઓના પ્રવેશનો રસ્તો સરળ થશે. વિદ્યાર્થી સંગઠનો યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણય સાથે સંમતિ દર્શાવી હતી અને આંદોલન નહિ કરવાની બાંહેધરી આપી હતી.