ગાંધીનગરઃ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરે તે જરૂરી છે. વિભાગો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેનટ પ્લાન તૈયાર કરીને તેની ઉપર અમલ શરૂ કરે. આ ઉપરાંત વિવિધ વિભાગો પોતાની જરૂરીયાત પ્રમાણે વસ્તુઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો અત્યારથી જ સુનિશ્ચિત કરે જેથી ભારે વરસાદ-પૂરની સ્થિતિમાં નાગરિકોને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. આમ,રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ પંકજ જોષીએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂન અંગે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
મુખ્ય સચિવએ કહ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસ્યો છે જેથી આપણે વધુ કે ઓછા વરસાદનો સામનો કરવો પડ્યો નથી. આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રીજીયનમાં 114 ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા જેટલો સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષ છોડીને એક વર્ષે નાના-મોટા વાવાઝોડા આવ્યા છે જેમાં છેલ્લે આવેલા બિપરજોય વાવાઝોડામાં વિવિધ વિભાગોના યોગ્ય સંકલન થકી આપણે જાનહાનિ ટાળી શક્યા છીએ.
આ વર્ષે પણ અગાઉથી રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન દ્વારા આપણે કોઇપણ કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા સજ્જ છીએ તેમ મુખ્ય સચિવએ વિશ્વાસ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું.