પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના ચોડુંગીરી ગામે રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્ર્દભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કૂવાના નિર્માણ કરાશે. રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનના સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામમાં રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્ર્દભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર અને એની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનના જવાનોને હું અભિનંદન પાઠવું છું. આપણે બધાએ સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. આપણે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ જોયો છે. જનશક્તિને જળશક્તિ સાથે જોડી છે. વડાપ્રધાને આપણને પાણી આવે એની પહેલાં પાળ બાંધી લેવાની પરંપરા શીખવાડી છે. વર્ષ 2019માં જળશક્તિ અભિયાનનો વડાપ્રધાને પ્રારંભ કરાવ્યો અને આપણે બધા એના સહભાગી થયા છીએ. સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં એવો મંત્ર આપીને વડાપ્રધાને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું કામ કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તલાવડીથી ચેકડેમ સુધીનું કામ વડાપ્રધાને કર્યું છે. આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. 2500 વર્ષ પહેલાં મહાવીર ભગવાને કહ્યું હતું કે પાણીને ઘીની જેમ વાપરજો, આજે આપણને ખ્યાલ આવે છે કે પાણીની શું કિંમત છે. એટલું જ નહીં, કૃષિના ઋષિ એવા ખેડૂતો પણ પાણીનો સંગ્રહ કરી રહ્યા છે અને જમીનમાં ઉતારવાનું કામ કરી રહ્યા છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પહેલાંના જમાનામાં આપણા વડવાઓ ચાર બાય ચારનો ખાડો કરીને પણ જમીનમાં પાણી ઉતારતા હતા. તમને બોર કરવાની સરકાર પરમિશન આપે છે અને આપતી રહેશે. તમે બોર કરીને જમીનમાં પાણી ઉતારજો. આપણે જનહિતમાં આ કામ કરવાનું છે અને તળ ઊંચા લાવવાના છે. બધું મળશે, પણ પાણી પૈસાથી નહીં મળે. હવે આપણે બોટલથી પાણી પીવા મજબૂર થયા છીએ. જો આપણે નહીં સાચવીએ તો આવનારા સમયમાં ઘરે મહેમાન આવશે તો કેપ્સ્યૂલ આપવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here