ગાંધીનગર:  કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે સિંદુર ઓપરેશન હાથ ધરીને સફળતા મેળવી છે. આથી ભારતીય સૈન્યની કામગીરીને બિરદાવવા માટે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવ્યું છે. દરમિયાન શનિવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારબાદ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તા. 16 અને 17મીએ કચ્છની મુલાકાતે આવશે, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 27 મેના રોજ કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જોકે વડાપ્રધાનની મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પણ વડાપ્રધાનના આગમનને લઈને કચ્છના વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મેના રોજ કચ્છ જિલ્લામાં આર્મી જવાનો સાથે સંવાદ અને નાગરિક કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને કચ્છના વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  17-18 મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ ગાંધીનગર લોકસભામાં એક વિશિષ્ટ બેઠકમાં પણ ભાગ લેશે. કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ 16 અને 17 મેના રોજ કચ્છ આવી રહ્યા છે. તેમની સંભવિત મુલાકાત નલિયા એરબેઝ ખાતે પણ હોઈ શકે છે. આ મુલાકાત દરમિયાન રક્ષામંત્રી જવાનોને મળશે અને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા પણ કરશે. ભુજ અથવા ગાંધીધામ ખાતે સૈન્ય દળો, નૌસેના, એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. કચ્છના નલિયા, ખાવડા અને સરહદી વિસ્તારોમાં થયેલા ડ્રોન હુમલાની પૃષ્ઠભૂમિમાં સંવેદનશીલ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here