રાજકોટઃ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનું સારૂએવું વર્ચસ્વ છે. જાડેજા પરિવાર અને પાટિદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે એક સભામાં જયરાજસિંહના પૂત્ર ગણેશ જાડેજાએ પાટિદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના ગોંડલ આવવાનો પડકાર ફેંકતા આજે અલ્પેશ કથિરિયા પાટિદાર આગેવાનો સાથે ગોંડલ આવતા બન્નેના સમર્થકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. અને ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું હતુ. જેને લઇને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પાટીદાર આગેવાનોની મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી.

ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ  પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા.

અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું અમે આખો દિવસ ગોંડલમાં રહીશું પરંતુ, તેઓ સવાર 10 વાગે આવ્યા અને સાડા અગિયાર વાગે ગોંડલથી રવાના થઇ ગયા હતા. આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ મુલાકાત અલ્પેશ કથીરિયાએ ફરી એકવાર ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું હતું. આ સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા. જાડેજા પરિવાર સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથીરિયાનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગોંડલ મિર્ઝાપુર હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here