અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં ગોપાલનગર ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. રોડ પર બેથી ત્રણ ફુટ પાણી ભરાતા રાહદારીઓ, વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, તેમજ ગટરના ગંદા પાણીને લીધે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની દહેશત પણ છે. સ્થાનિક રહિશોએ આ અંગે મ્યુનિની કચેરીએ રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. મ્યુનિ સામે આક્રોશ વ્યકત કરવા લોકોએ રોડ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદ શહેરના નિકોલના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. મ્યુનિના તંત્રના બહેરા કાને રજુઆતો ન સંભાળાતા આ વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર પણ સમસ્યાનું નિરાકરણ ન લાવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. નિકોલના ગોપાલ ચોક પાસે પાણી ભરાવાની છેલ્લા દસ દિવસથી સમસ્યા છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિકાલ ન લાવવામાં આવતા સ્થાનિક 100થી વધુ લોકોનું ટોળું રસ્તા ઉપર ઉતરી આવ્યું હતુ અને રોડ બંધ કરી દીધો હતો. ગોપાલ ચોક તરફનો અવર-જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા છે લોકોના ટોળેટોળા રોડ ઉપર આવ્યા હતા. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે પાણી ભરાવવાની સમસ્યા અંગે ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોને જાણ કરી તો માત્ર સલાહ સુચન કરી અને જતા રહ્યા છે. પણ સમસ્યાનું નિરાકરણ કરાયું નથી.

અમદાવાદના પૂર્વના નિકોલ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ગોપાલ ચોક વિસ્તાર, શાલીગ્રામ ફ્લેટ વિસ્તાર, સંકલ્પ સ્કૂલ રોડ કઠવાડા સત્યાગ્રહ, લાઈફ સ્ટાઈલ, મનમોહન પોલીસ ચોકી નજીક આવાસ યોજના સામે સહિતના વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેના પગલે નિકોલની જનતા ખૂબ જ ત્રસ્ત બની ગઈ છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના કોર્પોરેટરો વિરુદ્ધ નાગરિકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસથી લોકો ગટરના ગંદા પાણીથી હેરાન થઈ ગયા છે. બાળકોને સ્કૂલે અવર-જવર કરવી હોય તો તેના માટે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, ગટરનું પાણી સોસાયટીની પાણીની લાઈનમાં આવી ગયું છે જેના કારણે ગંદુ પાણી પીવાની ફરજ પડે છે લોકો બહારથી પાણી મંગાવી અને પીવું પડે તેવી સ્થિતિ છે.સ્થાનિક લોકો દ્વારા રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ કેટલાક લોકોને જ અવર-જવરમાં તકલીફ પડી હોવાથી જાતે રોડ ખોલી નાખવામાં આવ્યો હતો. લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here