ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ગરિમાપૂર્ણ  આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ તરફ પણ પ્રયાણ કરવા સંદેશ આપ્યો હતો.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરતાં કહ્યું કે, તેઓ ભારતના ઇતિહાસના આઝાદીકાળના એક એવા મહાપુરુષ હતા જેમણે સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને નાતજાતના ભેદભાવ સામે એક આંદોલન શરૂ કર્યું હતું. દરેક વ્યક્તિ સમાન રીતે આગળ વધે તેવું તેમનું ચિંતન હતું. જો આપણે સૌ એકતા અને સમરસતાથી આગળ વધીશું, તો આપણો સમાજ અને દેશ નવી ઊંચાઇઓ હાંસલ કરી શકશે. તેમણે આ પ્રસંગે બાબાસાહેબની જન્મજયંતિનું સ્મરણ કરતાં એમના વિચારોને સૌ માટે પ્રેરણારૂપ ગણાવ્યાં હતાં.

વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલએ કહ્યું કે, પરિશ્રમ અને સમર્પણના પરિણામરૂપે તેઓ આજે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રને વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષાઓ હોય છે. જે યુવાન આ ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે, સમાજ અને રાષ્ટ્ર માટે પોતાનાં શિક્ષણ અને આવડતનો ઉપયોગ કરે છે તેને સફળ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સાચી શિક્ષા એ છે કે, જે માત્ર નોકરી માટે નહીં, પણ સમાજ માટે ઉપયોગી બને. તેમણે વૈદિક સંદર્ભ આપતાં કહ્યું કે, સા વિદ્યા યા વિમુક્તયે – સાચી વિદ્યા એ છે જે મુક્તિ તરફ લઈ જાય. આપણી ભારતીય વિદ્યા પરંપરાનું આ પરમ ધ્યેય છે.

આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય અને તેમની ટીમને છેલ્લા વર્ષો દરમિયાન યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યાં અને યુનિવર્સિટીની પરિવારભાવનાથી આગળ વધવાની ભાવનાને ખાસ વખાણી હતી. તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટી સતત પ્રગતિની દિશામાં આગળ વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here