ગાંઘીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જ્યંતિએ ભાવાંજલી આપતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું
માર્ગદર્શક છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુકે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડૉ. બાબાસાહેબના જીવનમાંથી શીખવા મળે છે.
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મજ્યંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુ બહેન બાબરિયા પણ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ આ અવસરે ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા કહ્યું કે, ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ 75મું વર્ષ છે. એટલે આ વર્ષની આંબેડકર જ્યંતિ ખાસ અવસર છે.