ગાંધીનગરઃ અમદાવાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી ‘સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી‘ તેની જગ્યાએથી ખસી ગઈ હતી, જેના કારણે નજીકની રેલ્વે લાઇન પર ઘણી ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી.
નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ જણાવ્યું હતું કે રાત્રે 11 વાગ્યાની આસપાસ વટવામાં અકસ્માત થયો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી અને હાલના માળખાને કોઈ નુકસાન થયું ન હતું. અમદાવાદ રેલ્વે ડિવિઝનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાને કારણે ઓછામાં ઓછી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 15 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે.આ ઉપરાંત, પાંચ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને છ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત રેલવે લાઇન પરથી ‘ગૅન્ટ્રી‘ દૂર કરવાના પ્રયાસો ચાલુ છે જેથી ટ્રેનની અવરજવર ફરી શરૂ કરી શકાય. NHSRCL ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેનની મદદથી રેલ્વે ટ્રેકના પુનઃસ્થાપનનું કામ કરવામાં આવી રહ્યું છે.
NHSRCL ના નિવેદન અનુસાર, “ રાત્રે વટવા (અમદાવાદ નજીક) ખાતે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી ‘સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી‘ કોંક્રિટ ગર્ડર લોન્ચિંગ પૂર્ણ કર્યા પછી પાછી ખેંચી રહી હતી. તે સમયે આ દૂર્ઘટના સર્જાઈ હતી.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આ ઘટનાથી નજીકની રેલ્વે લાઇન પર અસર પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને માળખાને કોઈ નુકસાન થયું નથી. અમદાવાદ રેલ્વે ડિવિઝનના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી વટવા અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે ડાઉન લાઇન પર રેલ ટ્રાફિકને અસર થઈ હતી.