અમદાવાદઃ ગુજરાત સરકારે નવી જંત્રી માટે સુચિત દર જાહેર કર્યા છે, અને લોકો પાસેથી વાંધા સુચનો મંગાવ્યા છે. સરકારને અત્યાર સુધીમાં 5302 જેટલા વાંધા-સુચનો મળ્યા છે. દરમિયાન કેડ્રોઈ સહિત બિલ્ડરોએ પણ ભારે વિરોધ કર્યો છે. જંત્રીના નવા દર સામે રાજ્યભરમાં વિરોધ છે. નવી જંત્રીથી અનેક મુશ્કેલી અને વિટંબણાઓ સર્જાશે. ત્યારે રાજ્ય સરકાર દર વર્ષે 25 ટકા લેખે જંત્રી દર વધારવાની ફોર્મુલા વિચારી રહી હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને જાહેર જનતાના પ્રચંડ વિરોધને ધ્યાનમાં લેતા ગુજરાત સરકાર જંત્રીના દરોમાં આગામી ત્રણ વર્ષ સુધી સમયાંતરે વધારો કરવાની દરખાસ્ત રજૂ કરવા વિચારી રહી છે. આમ તો જંત્રીના નવા દરો જાહેર થઈ ચૂક્યા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં તો 100 ટકા કરતા પણ વધુ વધારો કરાયો છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર મહારાષ્ટ્રની જેમ આગામી ત્રણ વર્ષ માટે પ્રત્યેક વર્ષે જંત્રીના દરોમાં 25 ટકાનો વધારો કરવા વિચારી રહી છે. રાજ્ય સરકારે સત્તાવાર રીતે ગત 20 નવેમ્બરના રોજ જંત્રીના દરો જાહેર કર્યા હતા. સરકારે આ દરોને જાહેર જનતા માટે પબ્લિક ડોમેઈનમાં મૂક્યા હતા અને તમામ સંબંધિત પક્ષકારો પાસેથી તેને લગતા વાંધા-વિરોધ અને સૂચનો પણ મંગાવ્યા હતા. આ દરો સામે વાંધો-વિરોધ નોંધાવવા માટે આરંભમાં એક મહિનાની મુદત આપવામાં આવી હતી, પરંતુ સંબંધિત પક્ષકારોએ સૂચનો આપવા માટે મુદતમાં વધારો કરવાની માંગ કરતા આ મુદત વધારીને 20 જાન્યુઆરી સુધીની કરી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સરકારને ઘણી બધી ફરિયાદો મળી હતી. જેમાં પક્ષકારોએ વાંધો ઉઠાવ્યો હતો કે જાહેર કરાયેલા જંત્રીના દરો તદ્દન ગેરવાજબી અને બિન-તાર્કિક છે અને તેમાં આડેધડ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા ક્રેડાઇ પણ નવા જંત્રીના દરો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને માંગ કરી હતી કે સૂચનો અને વાંધા-વિરોધ નોંધાવવા માટેની મુદત વધારીને 31 માર્ચ સુધી વધારવી જોઈએ. ક્રેડાઇએ કહ્યું હતું કે, રાજ્યમાં 40,000 જેટલા વેલ્યૂ ઝોન આવેલા છે અને તેનો અભ્યાસ હાથ ધરવાનો હવે સમય પાકી ગયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો ડેવલપર્સને તો અસર કરશે જ પરંતુ તેનાથી ખેડૂતોને પણ મોટુ નુકસાન થઈ શકે છે. જાહેર કરાયેલા દરોના માળખાનો એકવાર વિગતવાર અભ્યાસ પૂર્ણ થાય ત્યારબાદ તેની રજૂઆત કરવા માટે પણ વધુ સમયની જરૂર પડશે. જંત્રી સામે સરકારને 5302 વાંધા-સુચનો મળ્યા છે. ગુજરાતમાં સરકારે જાહેર કરેલા નવા સુચિત જંત્રીદર વધારા સામે રાજયવ્યાપી વિરોધ વંટોળ ઉઠયો જ છે અને વાંધા સુચનોના ઢગલા થયા છે. રાજય સરકાર સમક્ષ અત્યાર સુધીમાં 5302 વાંધા રજુ થયા છે તેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here