ભારત અને બ્રિટન વચ્ચેની સંધિ બાદ પ્રથમ વખત યુનાઈટેડ કિંગડમ (યુકે)ની અદાલતે કોઈ વ્યક્તિને હત્યા માટે દોષિત ઠેરવ્યો છે. આ વ્યક્તિ તેની બાકીની સજા ગુજરાતના સુરતમાં ભોગવશે. ગુજરાતના ઉમર ગામના રહેવાસી આરોપી જીગુ સોરઠીને વર્ષ 2020માં એક મહિલાની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 23 વર્ષના આરોપી જીગુએ તેની 21 વર્ષની મંગેતર ભાવિનીની છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. બ્રિટનની લેસ્ટર કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી, જે અંતર્ગત જીગુ બ્રિટનમાં તેની 4 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે.
ભારત પાછા ફરવા વિનંતી
જીગુ સોરઠીએ યુકેની કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન ભારત પરત ફરવા વિનંતી કરી હતી. જે બાદ જીગુ સોરઠીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. બ્રિટન સરકાર અને ભારત સરકાર વચ્ચે એક કરાર થયો છે, જેના આધારે જીગુને બાકીની સજા ભોગવવા માટે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર જીગુના પ્રત્યાર્પણ અંગે ગૃહ મંત્રાલય તરફથી આદેશ મળ્યો છે. તેણે જણાવ્યું કે ઉમર ગામનો રહેવાસી જીગુ સોરઠી બ્રિટનમાં એક હત્યા કેસમાં દોષી છે. ત્યાં તેની સજાનો કેટલોક ભાગ પૂરો કર્યા બાદ તે સુરતની લાજપોર જેલમાં બાકીની સજા ભોગવશે.
ગૃહ મંત્રાલયના આદેશ મુજબ સુરત શહેરના ACPના નેતૃત્વમાં અમારી ટીમ દિલ્હી ગઈ હતી. બ્રિટિશ અધિકારીઓ દ્વારા આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને સુરત લાવવામાં આવ્યો હતો. ભારત અને બ્રિટનની સરકારો વચ્ચે થયેલી સમજૂતી મુજબ તે હવે અહીં તેની સજા ભોગવશે. તમને જણાવી દઈએ કે જીગુની સજાને લઈને તમામ જેલ વિભાગોએ ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવું પડશે.