અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શિક્ષિત યુવાનો સરકારી નોકરીઓ માટે ચાતકની જેમ રાહ જોઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હોય છે. બીજીબાજુ રાજ્ય સરકાર કાયમી ભરતી કરવાને બદલે કોન્ટ્રાકટથી ભરતી કરવામાં આવે છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસિંગ વિભાગની ખાલી પડેલી 144 જેટલી જગ્યાઓ રદ કરી દેવામાં આવી છે. હવે એવું કહેવાય છે. આ જગ્યાઓ પણ કોન્ટ્રાક્ટથી ભરી દેવામાં આવશે.
રાજ્યમાં સતત શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સરકારી નોકરી માટે જગ્યા પડે છે ત્યારે 1 પોસ્ટ માટે 10 થી 20 ગણા ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે. યુવાનો સરકારી નોકરી માટે રાત-દિવસ જોયા વિના સતત તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ આવેલા ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમની 144 જગ્યાઓ રદ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેને લીધે સરકારી નોકરીની તૈયારીઓ કરતા યુવાનોમાં નિરાશા વ્યાપી ગઇ છે.
સૂત્રોના કહેવા મુજબ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ-3 અને વર્ગ-4 આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ દ્વારા રજૂ થયેલા દરખાસ્ત પર વિચારણા બાદ આ નિયમનું અમલ થશે. કૃષિ અને સહકાર વિભાગના સચિવે જણાવ્યું કે આ પગલું વિભાગની કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્રની સુધારણા માટે મહત્વપૂર્ણ છે.







