ગાંધીનગર, 16 માર્ચ 2026: Narmada Parikrama ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી; પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ જ સનાતન પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે કે જ્યાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે પરિક્રમા કરીને આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો અનુભવ મેળવે છે.

ગુજરાત સરકાર પણ દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિશાળ પાયે વ્યવસ્થાઓ કરે છે. આ વર્ષે આગામી ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ચાલનારી આ 30 દિવસીય નર્મદા પરિક્રમા માટે પણ રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રીનાં સંવેદનશીલ નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર નર્મદા પંચકોશી પરિક્રમા માટે એવી વ્યવસ્થાઓ ઉભી કરી રહી છે કે જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા; ત્રણેયનો સુમેળ જોવા મળશે.

નર્મદા પરિક્રમાર્થીઓની ‘દુર્ગમ’ યાત્રાને ‘સુગમ’ બનાવવા માટે મુખ્યમંત્રી  ભૂપેંદ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય; તે માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે મોટા પાયે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025–26માં નર્મદા પરિક્રમા માટે લગભગ રૂ. 5.41 કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. તેમાં વધારાના ડોમ શેલ્ટર, મોબાઈલ-ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, 24×7 એમ્બ્યુલન્સ, લાઇટિંગ તથા ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ, વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં યાત્રાળુઓ માટે ખાટલા, ગાદલા, ઓસીકા, ખુરશીઓ અને બેડશીટ સાથેની બેઠક અને વિશ્રામની વ્યવસ્થા રહેશે. આ સાથે; સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેથી યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે. પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સુગમતા માટે સેવા કેન્દ્રો અને દુકાનો ઉભી કરવામાં આવી રહી છે.

યાત્રાધામ બોર્ડ દ્વારા પરિક્રમા વિસ્તારને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ હંગામી શૌચાલય, મોબાઇલ ટૉયલેટ વાન અને સ્નાન સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સતત પાણી પુરવઠો, ડ્રેનેજ અને કચરાના નિકાલ માટે સુવ્યવસ્થિત સવલતો ઉભી કરવામાં આવી છે. એક મહીનાની પરિક્રમા દરમિયાન હાઉસકીપિંગ ટીમો અનેક શિફ્ટોમાં કાર્યરત રહેશે કે જેથી પરિક્રમા વિસ્તાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here