રાજકોટ, 09 માર્ચ 2026: Mega demolition, શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે રેલવેની જમીન પર વર્ષોથી ખડકાયેલા 350થી વધુ કાચા-પાકા મકાનો દૂર કરવા માટે ડિમોલિશનની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ, માલવિયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના 400થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. આરએમસી દ્વારા શહેરના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે લક્ષ્મીનગર વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આજે સોમવારે વહેલી સવારથી જ રેલવેની માલિકીની જમીન પર વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવા ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝરોનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. અંદાજે 350 જેટલા કાચા-પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.

આરએમસી તેમજ રેલવે તંત્ર દ્વારા સંયુક્તરીતે હાથ ધરેલા મેગા ડિમોલિશનમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. દાયકાઓથી અહીં રહેતા સ્થાનિકોએ રડતી આંખે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે 60 વર્ષથી અહીં રહીએ છીએ, અમારા મા-બાપ અહીં જ ગુજરી ગયા અને હવે આ નાના બાળકોને લઈને અમે કયા ઘરે જઈએ? અમારા માથેથી છત છીનવાઈ રહી છે, ત્યારે કોઈ સહારો આપવા તૈયાર નથી. ડિમોલિશનની કામગીરી દરમિયાન વાતાવરણ ગમગીન અને તણાવપૂર્ણ બની ગયું હતું. આ વિસ્તારમાં છેલ્લા 5 દાયકાથી શ્રમજીવીઓ વસવાટ કરી રહ્યા છે. અને શહેરમાં શાકભાજી વેચીને કે છૂટક મજુરી કરીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા. આશરો તૂટી જતા લોકો રડી રહેલા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here