અમદાવાદ, 16 જાન્યુઆરી 2026:   શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં એક ગેરકાયદેસર બંગલાને મ્યુનિના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરાયુ હતુ. નવો બંગલો બનાવવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી, જે બાદ આજે 16 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંતધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી.

શહેરના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીના કહેવા મુજબ શહેરના પાલડી વિસ્તારમાં નુતન સર્વોદય સોસાયટીમાં બંગલા નંબર 1માં સવારથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બંગલાનું બાંધકામ ગેરકાયદેસર હતું જે અંગે અવારનવાર નોટિસો આપવામાં આવી હતી, છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે આજે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બે જેસીબી મશીન અને મજૂરોની મદદ લઈને બંગલો ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના પાલડીના નૂતન સર્વોદય સોસાયટીમાં નવ જેટલા બંગલાઓ અશાંતધારાનો ભંગ કરીને વેચાણ કરી દેવામાં આવતા ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દિલીપ મોદી નામના વ્યક્તિનો બંગલો ગેરકાયદેસર રીતે ઉભો કરાયો હોવા અંગેની પણ ફરિયાદ મળી હતી. મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિને બંગલો વેચાણ આપવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બાંધકામ હોવાના પગલે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા આ બંગલો ડિમોલિશન કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here