[અલકેશ પટેલ] સુરત, 5 જાન્યુઆરી, 2026 – Surat Literature Festival 2026 સાહિત્ય, પુસ્તકો અને કળા-સંસ્કૃતિના માધ્યમથી વર્તમાન ભારતનું ચિત્ર રજૂ કરીને દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચિંતન-મનન કરવાનો ઉત્સવ આવતા શુક્રવારે 9મી જાન્યુઆરીએ સુરતમાં શરૂ થઈ રહ્યો છે.
2020માં સુરત લિટરરી ફાઉન્ડેશનની સ્થાપના કરનાર ગોપાલભાઈ ગોસ્વામીએ SLF-2026 સંદર્ભે રિવોઈ સાથે વિશેષ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસનો આ સમારંભ માત્ર સાહિત્યિક મેળાવડો નહીં પરંતુ વિચારો, નીતિ વિષયક ચર્ચા અને સાંસ્કૃતિક પરફોર્મન્સનું માધ્યમ પણ છે. શ્રી ગોપાલભાઈએ કહ્યું કે, સુરત લિટફેસ્ટના કદ અને મહત્વાકાંક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે.
2025માં તેની ત્રીજી આવૃત્તિ Bharat@2047 ના વ્યાપક માળખા હેઠળ આયોજિત કરવામાં આવી હતી અને તેમાં ભારતની લાંબા ગાળાની રાષ્ટ્રીય યાત્રા પર વિચાર કરવા માટે નીતિ ઘડવૈયાઓ, વિદ્વાનો, સંરક્ષણ નિષ્ણાતો, વિજ્ઞાનીઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓને એકસાથે લાવવામાં આવ્યા હતા. સરકાર- વહીવટીતંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, અર્થતંત્ર અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ પરની ચર્ચાઓએ પરંપરાગત ફેસ્ટિવલ પ્રોગ્રામિંગથી આગળ વધવાનો સંકેત આપ્યો હતો.
તેમણે માહિતી આપી કે, 2025ની આવૃત્તિમાં ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. એ. એસ. કિરણ કુમાર, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, લેફ્ટનન્ટ જનરલ એન. એસ. આર. સુબ્રમણી અને અર્થશાસ્ત્રી ડૉ. શમિકા રવિ જેવાં વક્તાઓ સામેલ હતા. એક મજબૂત સાંસ્કૃતિક કાર્યક્રમે આ ચર્ચાઓમાં પૂરક ભૂમિકા ભજવી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોડાયા હતા અને એક એવું ફોર્મેટ સ્થાપિત કર્યું હતું જે ત્યારથી આ ઉત્સવની ઓળખ બની ગયું છે.





