સુરત શહેરમાં પતંગ ચગાવતી વખતે બાળક ચોથા માળેથી પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળક સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે સુરતમાં પતંગ ચગાવતી વખતે ચોથા માળેથી પટકાયેલા 9 વર્ષના બાળક મીર પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના ઉધના વિસ્તારમાં બની હતી, જ્યાં 2 જાન્યુઆરીના રોજ તે પતંગ ચગાવી રહ્યો હતો. મૂળ મહેસાણાના ઊંઝાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગર પાસેના રાધા-કૃષ્ણ આવાસમાં રહેતા પ્રેમલભાઈ પટેલનો પુત્ર મીર 2 જાન્યુઆરીના બપોરે પોતાના બિલિ્ડંગના ચોથા માળે અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવતી વખતે તેણે અચાનક સંતુલન ગુમાવ્યું અને નીચે પટકાયો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મીરને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોની ટીમે તેને બચાવવાના સતત પ્રયાસો કર્યા, પરંતુ તેને બચાવી શકાયો ન હતો.






