ગાંધીનગરઃ પંચમહાલના વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7 મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દિક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને દિક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 140 જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની તથા સમાજ સુધારક શ્રી ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદે આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરીને સમાજ સુધારણાનું કાર્ય કરીને યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.
રાજ્યપાલએ ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકો અને પોતાના સપનાઓને બાજુએ મૂકીને બાળકોના શિક્ષણ માટે સમર્પિત માતા-પિતાના ત્યાગને ગૌરવપૂર્વક યાદ કર્યા હતા.
તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓને સત્ય, ધર્મ અને શિક્ષણના પાલન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, સત્ય પ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય-તણાવથી મુક્ત રાખે છે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભકર્મ, વિવેક અને બુધ્ધિ કૌશલ્ય દ્વારા તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો.


