(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025: 1971 War Vijay Diwas આજે 16 ડિસેમ્બર. 54 વર્ષ પહેલાનો એ વિજય દિવસ. પાકિસ્તાની સૈન્યની વધુ એક હારનો આ દિવસ. હાલ જે રીતે ઓપરેશન સિંદૂરની ચર્ચા ચારે તરફ છે એવી જ રીતે 1971ના અંતિમ મહિનામાં ભારતીય સૈન્યે તે સમયના પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશની ધરતી ઉપર પાકિસ્તાની સૈન્યને માત્ર 13 દિવસના યુદ્ધમાં ધૂળ ચાટતું કરી દીધું હતું.
પાકિસ્તાની સૈન્યની એ ઘણી મોટી હાર હતી અને તેમના 93,000 સૈનિકોએ શસ્ત્રો હેઠાં મૂકીને આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય સૈન્યે અને તેમાંય ખાસ કરીને વાયુદળે (Indian Air Force) એ જીતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એ વિજય દિવસની યાદમાં ઈન્ડિયન એરફોર્સના પ્રવકતાએ પણ એક પોસ્ટ શૅર કરીને 1971ના યુદ્ધના વિજેતા જવાનોને ભવ્ય અંજલિ આપી છે. વિંગ કમાન્ડર અભિષેકકુમાર તિવારીએ લખ્યું છે કે, 1971ની 14 ડિસેમ્બરે ભારતીય હવાઈ દળે ઢાકા યુનિવર્સિટીમાં પાકિસ્તાની દળો ઉપર સચોટ નિશાન તાક્યું હતું. ત્યારબાદ 15 ડિસેમ્બરે મિગ-21 તથા હંટર યુદ્ધ વિમાનોએ દુશ્મન દળોને તબાહ કરી દીધા હતા. તે દિવસે સાંજ સુધીમાં જમીન પરથી ગોળીબાર બંધ થઈ ગયા હતા અને ભારત માટે જીતનો માર્ગ મોકળો થવા સાથે બાંગ્લાદેશની મુક્તિ પણ થઈ હતી.
“વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ચાલો ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાની અજોડ બહાદુરીને સલામ કરીએ.








