જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના જંગલને અડીને આવેલા એક દૂરના ગામમાં સોમવારે સાંજે એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો, જ્યારે એક આતંકી ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોળીબાર ભલે અટકી ગયો હોય પરંતુ સમગ્ર વિસ્તારને કડક સુરક્ષા કોર્ડન હેઠળ રાખવામાં આવ્યો છે. છુપાયેલા આતંકવાદીઓને મારવા માટે તેમના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર પહાડી જિલ્લાના મજલતા વિસ્તારના સોન ગામમાં ત્યારે શરૂ થયું જ્યારે સુરક્ષા દળોએ ત્યાં ત્રણ આતંકવાદીઓની હાજરીની માહિતી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું. માનવામાં આવે છે કે આ આતંકીઓ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા છે.
જમ્મુના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) ભીમ સેન તુટીએ જણાવ્યું હતું કે દૂરના ગામમાં આતંકવાદીઓ વિશે સચોટ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓનો સામનો થયો હતો. અધિકારીએ કહ્યું, ‘પોલીસ, આર્મી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમ સાથે મળીને કામ કરી રહી છે.’ દરમિયાન, અન્ય એક પોસ્ટમાં, આઈજીપીએ કહ્યું કે અંધકાર અને ખતરનાક પ્રદેશને કારણે જંગલની શોધમાં અવરોધ આવી રહ્યો છે.
સુરક્ષા દળોએ ગામને ઘેરી લીધું
અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર સાંજે 6 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું. સુરક્ષા દળોએ તે ગામને પહેલેથી જ ઘેરી લીધું હતું. આ એન્કાઉન્ટર થોડો સમય ચાલ્યો હતો, જેમાં એક SOG જવાન ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. તેમણે કહ્યું કે પ્રારંભિક ગોળીબારમાં એક આતંકવાદી ઘાયલ થવાની પણ આશંકા છે. તેમણે કહ્યું કે ઓપરેશન રાત માટે સ્થગિત કરવામાં આવ્યું છે અને તે મંગળવારે ફરી શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે કોર્ડનને મજબૂત કરવા અને આતંકવાદીઓને ખતમ કરવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.








