ગાંધીનગરઃ રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન મોટા પ્રણામમાં ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકમાં મોલાનો ઉપદ્રવ સહિત રોગચાળાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ ઘઉંના પાકમાં મોલોનો ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા-લેડી બર્ડ બીટલ, લીલી પોપટી-ક્રાયસોપર્લા તેમજ સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો જોઈએ.
જ્યારે લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક પાંચ ટકા-૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ.-૫ ઇ.સી. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાનો રહેશે.
વધુમાં વાવણી સમયે બીજને કીટનાશકની માવજત અપાઈ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ પાંચ એસ.સી. ૧.૬ લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી જોઈએ.








