ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ Bharatkool Chapter-2 Gujarat Media Club મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-૨’ના શુભારંભ પ્રસંગે માધ્યમોની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા સહાયકની છે. સરકાર હંમેશાં નાગરિકોની સુખાકારી માટે પ્રયત્નશીલ છે, ત્યારે નીતિઓમાં સુધારા અને લોકકલ્યાણ માટે યોગ્ય ટીકા જરૂરી છે, પણ તેની પાછળનો ભાવ હકારાત્મક હોવો જોઈએ.
મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે વિશ્વમાં ભારતની ઓળખ તેની પ્રાચીન અને પરમ સત્ય તરફ લઈ જનારી સંસ્કૃતિને કારણે જ છે. તેમણે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે તેમણે પશ્ચિમના લોકોને માત્ર ભારતીય સંસ્કૃતિની એક નાની ઝલક જ આપી હતી, જેનાથી તેઓ પ્રભાવિત થઈ ગયા હતા. જે લોકો તેમાં ઊંડા ઉતર્યા તેમણે પોતાનું જીવન આ સંસ્કૃતિને સમર્પિત કરી દીધું. નવી પેઢીને આપણી સનાતન સભ્યતાનાં મૂળ મૂલ્યોનો પરિચય થાય તે પણ ખૂબ જ આવશ્યક છે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે ભારતકૂલના આ બીજા અધ્યાયના આયોજન બદલ ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન પાઠવી, યુવા શક્તિને તેમના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાવા બદલ આ કાર્યક્રમને એક યોગ્ય મંચ ગણાવ્યો હતો.







