રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 54મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ આગામી 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ ખેલકૂદ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 10મી ડિસેમ્બરે ખેલકૂદ મહોત્સવનો કુલપતિના હસ્તે પ્રારંભ કરાશે. ત્રિદિવસીય યોજાનારી આ એથ્લેટિક્સ ગેમમાં 26 ઇવેન્ટમાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના 400થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 54મા ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. 10મી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ખેલ મહોત્સવમાં વિવિધ કોલેજોના 400 ખેલાડીઓ ભાગ લેશે, યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સ્પર્ધા સ્થળ પર જ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. જ્યારે આ વિજેતા ખેલાડીઓમાંથી ક્વોલીફાય થનારા ખેલાડીઓ મેંગ્લોરમાં યોજાનારી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલાશે. જ્યાં રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સારું પરફોર્મન્સ કરી યુનિવર્સિટીને મેડલ અપાવે તેવી આશા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, 10થી 12 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. જેમાં 26 ઇવેન્ટમાં 400થી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં જે ક્વોલિફાય થશે તેઓ ઓલ ઇન્ડિયા સ્પર્ધા રમવા માટે મેંગ્લોરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. ખેલાડીઓ એથ્લેટિક્સની આ અલગ અલગ ઇવેન્ટમાં ખુબ જ સારુ પરફોર્મન્સ આપી મેડલ લાવવા માટે તત્પર છે.



