અમદાવાદઃ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે આજથી નવો નિયમ અમલમાં આવ્યો છે. રેલવેએ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસની તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની પ્રક્રિયામાં આજથી ફેરફાર કર્યો છે. હવે તત્કાલ બુકિંગ માટે OTP વેરિફિકેશન ફરજિયાત રહેશે. આ પ્રોસેસમાં OTP વેરિફિકેશન બાદ જ ટિકિટ બુકિંગ કન્ફર્મ થશે. આ નવી વ્યવસ્થા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન કાઉન્ટર, ઓથોરાઇઝ્ડ એજન્ટ, IRCTC વેબસાઇટ અને IRCTCની એપ દ્વારા બુક કરાયેલી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. ટિકિટના દુરુપયોગને રોકવા રેલવે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આ નવી પ્રોસેસમાં સફળતા મળશે તો આગામી સમયમાં બીજી ટ્રેનોના બુકિંગ માટે પણ આ પ્રોસેસ લાગુ કરવામાં આવશે. તેમ પશ્વિમ રેલવેના સુત્રોએ જણાવ્યુ હતુ.

પશ્વિમ રેલવેના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં મોબાઈલમાં ઓટીપી વેરિફિકેશન બાદ જ તત્કાલ ટિકિટનું બુકિંગ થઈ શકશે. આ નવા નિર્ણયથી ફેક મોબાઇલ નંબરથી થતું ગેરકાયદે તત્કાલ બુકિંગ ઘટશે, જેથી વધુ સાચા પેસેન્જરને તક મળશે. દરેક ટિકિટ વેરિફાઇડ મોબાઇલ ફોન નંબર સાથે જોડાયેલા હોવાથી બુકિંગ પ્રક્રિયા સુરક્ષિત થશે અને તેના દુરુપયોગથી મુક્ત બનશે. મોબાઇલ પર આવેલા OTPના વેરિફિકેશન બાદ બુકિંગ થતા એક જ નંબરથી વધુ બુકિંગ અટકશે. વાસ્તવિક મોબાઇલ નંબર રેલવેના રેકોર્ડમાં હોવાથી ઇમર્જન્સીના સમયે પેસેન્જર સુધી પહોંચવું સરળ બનશે. ટ્રેનો રદ કરાતા, રદમાં ફેરફાર કરાતા કે મોડી પડવાની સૂચના સીધી જ વેરિફાઇડ નંબર પર મોકલી શકાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, અમદાવાદ-મુંબઈ શતાબ્દી ટ્રેનમાં તત્કાલ બુકિંગની પ્રક્રિયામાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તત્કાલ બુકિંગ સીધું થતું હતું. જોકે, હવે નવી પ્રોસેસ રજુ કરવામાં આવી છે, જે મુજબ જ્યારે પણ કોઈ પેસેન્જર ટિકિટ બુક કરાવવા આવશે. ત્યારે તેના મોબાઇલ નંબર પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. પેસેન્જર દ્વારા આ OTP આપવામાં આવ્યા પછી જ ટિકિટનું વેરિફિકેશન થશે અને ત્યારબાદ જ બુકિંગની પ્રક્રિયા શરૂ થશે. હાલમાં આ ફેરફાર ફક્ત શતાબ્દી ટ્રેન માટે જ કરવામાં આવ્યો છે, પરંતુ જો આ પ્રયોગ સફળ થશે, તો તેને અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here