પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક ફેક્ટરીમાં બોઈલરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત આજે સવારે પંજાબના ફૈસલાબાદ જિલ્લામાં થયો હતો, જે લાહોરથી લગભગ 130 કિમી દૂર છે. ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર રાજા જહાંગીર અનવરે જણાવ્યું કે મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલરમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે નજીકની ઈમારતો ધરાશાયી થઈ ગઈ.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, “અત્યાર સુધીમાં, બચાવ ટીમોએ કાટમાળમાંથી 15 મૃતદેહોને બહાર કાઢ્યા છે, અને સાત ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે,” તેમણે કહ્યું. અનવરે કહ્યું કે કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ ટુકડીઓ સતત કાટમાળ હટાવી રહી છે અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર બચાવ કાર્યમાં લાગેલું છે.
પંજાબના પોલીસ મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવરે એક નિવેદનમાં રેસ્ક્યુ 1122, ફાયર બ્રિગેડ અને તમામ સંબંધિત એજન્સીઓને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. પંજાબના મુખ્યપ્રધાન મરિયમ નવાઝે કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મરિયમ નવાઝે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ફૈસલાબાદ કમિશનર પાસેથી ઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો હતો.








