ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આગામી તા. 21 નવેમ્બરના રોજ યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી, જેમાં મંત્રી મહીડાએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રી સંજયસિંહ મહિડાએ ટેબલ ટોપ એકસરસાઈઝમાં જણાવ્યું હતું કે, આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક-સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે.
તેમણે ભૂતકાળમાં બનેલી ભોપાલ ગેસ દુર્ઘટના અને વિશાખાપટ્ટનમ સ્ટાયરીન ગેસ લીક જેવી વિનાશક ઘટનાઓનો ઉલ્લેખ કરીને ઓઈલ અને રાસાયણિક અકસ્માતો સામે તૈયારીનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.



