ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે મોદી નવ હજાર 700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે માતાજીના દર્શન કરશે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

મોદી પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ-જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક લાખ લાભાર્થીઓ માટેના ગૃહ-પ્રવેશ સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આદિવાસી વિસ્તારોમાં 748 કિલોમીટરના નવા રસ્તાઓ અને સમુદાય કેન્દ્રો તરીકે સેવા આપવા માટે 14 આદિવાસી મલ્ટી-માર્કેટિંગ કેન્દ્રોનો શિલાન્યાસ કરશે. આ પહેલા મોદી આજે સવારે સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે. આ ભારતના સૌથી મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ પ્રોજેક્ટથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ બે કલાક ઓછો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here