અમદાવાદ, 12 નવેમ્બર, 2025: RSS 100 years celebration દેશ જ્યારે સદીઓથી ગુલામીની ઝંઝીરોમાં કેદ હતો, દેશવાસીઓ લઘુતાની ભાવનાના શિકાર બની રહ્યા હતા, ત્યારે ડૉ. હેડગેવારજીએ 1925 માં દેશની આઝાદીની સાથોસાથ દેશવાસીઓ વૈચારિક ગુલામીથી પણ આઝાદ થાય તેવા ઉદ્દેશ્યથી RSS ની સ્થાપના કરી હતી તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીં જણાવ્યું હતું. તેઓ RSSની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ચાર દિવસીય વ્યાખ્યાનમાળાના ઉદ્દઘાટન પ્રસંગે મંગળવારે બોલી રહ્યા હતા.
ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહેલી ચાર દિવસની આ વ્યાખ્યામાળાના પ્રથમ દિવસે 11 નવેમ્બરને મંગળવારે સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણગોપાલજીએ સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર વિશે માહિતીપૂર્ણ અને ભાવવાહી વક્તવ્ય આપ્યું હતું. વ્યાખ્યાનમાળાના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઉપરાંત ભારતીય વિચાર મંચના પદાધિકારી રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ તથા ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. નીરજા ગુપ્તા સહિત શહેર અને રાજ્યના સંઘના ટોચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળા 14 નવેમ્બર સુધી ચાલશે, જે દરમિયાન આરએસએસના અત્યાર સુધીના તમામ છ સરસંઘચાલક વિશે વિવિધ સહસરકાર્યવાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, પૂજ્ય ગુરુજીથી લઈને આદરણીય મોહન ભાગવતજી સુધી સંઘે ઉચ્ચ જીવનમૂલ્યોથી યુક્ત પ્રજ્ઞાવાન નેતૃત્વ દેશને આપ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનમાં પણ સંઘના તેજસ્વી વિચારોની પ્રેરણા જોવા મળે છે.
સંઘના સમર્પણ અને રાષ્ટ્રભાવનાની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા સ્વયંસેવકોએ નિ:સ્વાર્થ ભાવે અવિરત પરિશ્રમ કર્યો છે. સંઘના આગેવાનોએ દેશને “સ્વ”થી ઉપર મૂકીને સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે.



